નવજીવન ન્યૂઝ.કોલકત્તાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે રાજ્યમાં કથિત શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી હતી. મંત્રીના નજીકના સાથી પાસેથી રૂ. 20 કરોડ રિકવર થયાના એક દિવસ બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
રોકડ મળી આવ્યા બાદ તૃણમૂલ નેતાની રાતોરાત પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે પાર્થ ચેટર્જીએ પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને સહકાર આપ્યો ન હતો, જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
એક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે, “રાતની પૂછપરછ પછી, પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી. તેને ED ઓફિસ લઈ જવામાં આવી રહ્યો છે.” હાલમાં, કથિત કૌભાંડ થયું ત્યારે ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રાલયની સંભાળ રાખતા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે પાર્થ ચેટર્જીના એક સહયોગીના ઘરેથી 20 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ રકમ કથિત SSC કૌભાંડની આવક હોવાની શંકા છે.”
ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના પરિસરમાંથી 20થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ચેટર્જી ઉપરાંત, EDએ શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્ય લોકો પર પણ દરોડા પાડ્યા હતા.








