નવજીવન રાજકોટઃ દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘણી ધાર્મીક સામાજીક સંસ્થાઓના વડાઓ ચર્ચામાં આવવા લાગે છે. રાજકારણ અને સમાજ તથા ધર્મનું હવે સંયુક્ત વાતાવરણ જોવાય છે ત્યારે પાટીદારોના કુળદેવી ખોડલમાંની સંસ્થા, ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. સ્વચ્છ છબી માટે જાણીતા નરેશ પટેલ ચૂંટણી આવે ત્યારે ચર્ચાનું કેન્દ્ર અવશ્ય બનતા રહે છે. આગામી સમયમાં ચૂંટણીઓની તૈયારીઓમાં રાજકીય પાર્ટીઓ લાગી ગઈ છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજનીતિમાં આવવા અંગેનો એક ઈશારો આપ્યો છે. જોકે તેને તેમનો સ્પષ્ટ નિર્ણય કહી શકાય તેમ નથી.
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું છે કે રાજકારણમાં આવવા અંગે સમાજ આદેશ કરે તો વિચારવું પડશે. ઉલ્લેખનીય છે કે આજે પાટીદાર આગેવાનોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત છે. જે પહેલા નરેશ પટેલે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ નથી.
હાલમાં જ કોંગ્રેસના નવા પ્રમુખ નીમાયા ત્યારે તે પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલના ઘણા વખાણ કર્યા હતા. ઉપરાંત થોડા દિવસ પહેલા ભાજપ નેતા જયેશ રાદડીયા તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પણ ખોડલધામની મુલાકાત કરી હતી અને નરેશ પટેલ સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી. હવે તેઓ કઈ પાર્ટી માટેનો ઝુકાવ ધરાવે છે તે કશું હાલ કહેવું વહેલું લાગે પરંતુ ઘણા કોંગ્રેસી નેતાઓએ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેમના માટે લાલ ઝાઝમ સાથે સ્વાગત કરાશે તેવું પણ કહ્યું છે અને તેઓ કોંગ્રેસમાં જ આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો છે. જોકે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એટલું જ મજબુત સંગઠન અને તૈયારીઓ સાથે ઉતરશે તેથી નરેશભાઈ માટે જ્યાં ત્રણે પાર્ટીમાં લાલ ઝાઝમ છે તો જવું ક્યાં તે મુખ્ય પ્રશ્ન રહેશે.
બીજી બાજુ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા દમનને પગલે એવું પંડીતોનું માનવું છે કે ભાજપમાં તેઓ એન્ટ્રી નહીં કરે તેના કરતાં સંસ્થાના ઉચ્ચ પદ પર જ રહી પોતાનું રાબેતા મુજબનું જીવન ગાળશે અથવા તો અન્ય પક્ષ જ એક માત્ર તેમની પાસે ઉપાય રહેશે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









