નવજીવન ન્યૂઝ. ભોપાલ: જબલપુર જિલ્લાની ખાનગી ન્યૂ લાઈફ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં લગભગ એક ડઝન લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં 5 દર્દીઓ અને 3 હોસ્પિટલ સ્ટાફ છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે હોસ્પિટલમાં ભયનો માહોલ છે.
ઘટનાસ્થળેથી વિઝ્યુઅલ્સમાં બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા. જબલપુરના દમોહ નાકા વિસ્તાર પાસે આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બપોરે આગ લાગી હતી. આ 30 બેડની હોસ્પિટલ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસનું કહેવું છે કે આગ વિદ્યુત ઉપકરણના કારણે લાગી હોવાની આશંકા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે ઘણા લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જબલપુરના મુખ્ય પોલીસ અધિક્ષક અખિલેશ ગૌરે જણાવ્યું હતું કે, “ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ એક વિશાળ આગ હતી અને અમારી ટીમોએ હોસ્પિટલમાં ફસાયેલા તમામ લોકોને બચાવ્યા હતા.”








