નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: શુક્રવારે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના પછી, સોનમર્ગના બાલટાલ બેઝ કેમ્પમાં પહોંચેલા ભક્તોએ તેમના દુઃખદાયક અનુભવોને વર્ણવ્યા હતા. ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી દીપક ચૌહાણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ ઘટના બાદ ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ સેનાના જવાનોએ ઘણી મદદ કરી. પાણીના જોરદાર પ્રવાહને કારણે અનેક પંડાલો ધોવાઈ ગયા હતા.
મહારાષ્ટ્રના રહેવાસી સુમીતે જણાવ્યું હતું કે, “વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં મોટી સંખ્યામાં પથ્થરો આવ્યા હતા. અમે વાદળ ફાટવાના સ્થળથી બે કિલોમીટર દૂર હતા.” અન્ય એક ભક્તે કહ્યું, “મેઘ ફાટ્યો ત્યારે અમને વિશ્વાસ ન આવ્યો. થોડીવાર પછી, અમને ફક્ત પાણી જ દેખાયું. અમે સાતથી આઠ લોકોનું જૂથ હતું, ભોલેનાથની કૃપાથી અમે બધા બચી ગયા. લોકો જોતાં હતા અને સામાન પાણીમાં વહેતો હતો. અમારી નજર સામે બધું જ વહેતું હતું.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વાદળ ફાટ્યાની 10 મિનિટમાં જ આઠ લોકોના મોત થયા હતા. પાણીમાં મોટી સંખ્યામાં પત્થરો હતા. લગભગ 15,000 શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવ્યા હતા. ભારે વરસાદ હોવા છતાં, યાત્રાળુઓ આવતા જ રહ્યા હતા.” અહીં, શનિવારે વહેલી સવારે, ITBPની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને ગુફા પાસે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા હતા.
નોંધપાત્ર રીતે, દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાની નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરને કારણે ઘણા લોકો વહી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ વાતની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 40 લોકો ગુમ છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે. શનિવારે સવારે તમામ મૃતદેહોને બાલતાલ મોકલવામાં આવ્યા છે.
BSF MI 17 હેલિકોપ્ટરને નીલગઢ હેલિપેડ/બાલતાલથી BSF કેમ્પ શ્રીનગર સુધી વધુ સારવાર અથવા મૃતદેહોને તેમના ઘરે લઈ જવા માટે એક્શનમાં મૂકવામાં આવ્યું હતું. ITBPની ટીમ અમરનાથ ગુફા પાસે ગુમ થયેલા લોકોને શોધી રહી છે. સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.








