નવજીવન ન્યૂઝ. જામનગર: અમરનાથની ગુફા નજીક વાદળ ફાટવાની દુર્ઘટનાઆ અત્યાર સુધી 16 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 40થી વધુ જેટલા લોકો લાપતા છે. આવી પરિસ્થિતી વચ્ચે કેટલાક ગુજરાતીઓ પણ અમરનાથમાં સર્જાયેલી દુર્ઘટના ફસાયા છે. જામનગરના 20 યાત્રિકો અમરનાથમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અમરનાથના દર્શન કરવા માટે સેંકડો ભાવિકો શુક્રવારે સવારે નીકળ્યા હતા. પરંતુ અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના બનતા યાત્રિકોને સંગમ ઘટી નજીક રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે યાત્રિકોને અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું. ઉપરાંત સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આગળ નહીં જવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે જામનગરના 20 જેટલા લોકો ફસાયા છે.
અમરનાથમાં યાત્રામાં જામનગર સિવાય દ્વારકાના પણ કેટલાક લોકો અટવાયા છે. જેમને હાલ સંગમ ઘાટી નજીક રોકી દેવામાં આવ્યા છે. સુરતના 85 જેટલા લોકો અમરનાથ ગયા છે. જેઓ હાલ સહિસલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ અમરનાથમાં કેટલીક જગ્યાએ નેટવર્કની સમસ્યા હોવાથી અનેક યાત્રીઓના ફોન ન લાગવાના કારણે પરિવારજન ચિંતામાં મુકાયા છે. હાલ અમરનાથમાં સુરક્ષા દળોએ બચાવ કામગીરી કરીને યાત્રિકોને બહાર કાઢી રહી છે.








