Student Protest Neet Paper leak Kangana Ranaut: ભાજપ (BJP)ના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી આંદોલન (Student Protest)ને લઈને કરેલી ટિપ્પણીઓ બાદ રાજકીય વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં તેમણે પ્રદર્શનકારીઓની ભાષા અને વર્તન અંગે આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમના નિવેદન બાદ કોંગ્રેસ (Congress) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સહિતના વિરોધ પક્ષોએ વાંધો ઉઠાવી તેમની માફીની માંગ કરી છે.
કંગના રનૌતે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે તેમણે પોતાના જીવનમાં આટલું “અટપટું” અને “ભદ્દું” કંઈ જોયું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે આવા લોકોનું પાલન-પોષણ કોણ કરે છે અને તેઓ આવી ભાષા અને વર્તન ક્યાંથી શીખે છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત તેની સંસ્કૃતિ, શાલીનતા અને વૈવિધ્ય માટે ઓળખાય છે, જ્યારે આવા વર્તનથી તેની છબીને નુકસાન પહોંચે છે.
પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક યુવતીઓની રીલ્સનો ઉલ્લેખ કરતાં કંગના રનૌતે તેમને “ગટર જનરેશન” કહી સંબોધ્યા હતા. તેમણે દાવો કર્યો કે આવી યુવતીઓ અભ્યાસમાં સારી નથી અને ભવિષ્યમાં સારી ગૃહિણી પણ બની શકશે નહીં. સાથે જ તેમણે પશ્ચિમી પ્રભાવ, સોશિયલ મીડિયા પર જીવનશૈલીના પ્રદર્શન અને જવાબદારીના અભાવ અંગે પણ ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આવા વીડિયો જોઈને તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.
બીજી તરફ કંગના રનૌતે પેપર લીક (Paper Leak) વિરોધી સુધારા વિધેયક અંગે પણ કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પરીક્ષા વ્યવસ્થાને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને સુધારા વિધેયક તેમના સંકલ્પને દર્શાવે છે.
કંગના રનૌતના નિવેદન બાદ કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈન (Syed Naseer Hussain)એ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમના નિવેદનને કોઈ ગંભીરતાથી લેતું નથી અને તેમને વિદ્યાર્થી આંદોલન અથવા લોકશાહીની સમજ નથી.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણ (Waris Pathan)એ પણ કંગના રનૌતના નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જો આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે નિંદનીય છે અને કંગનાએ સમગ્ર Gen-Z પાસે માફી માંગવી જોઈએ.








