Gujarat Rain IMD Red Alert Ahmedabad : ગુજરાતમાં હાલ મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓથી લઈને બસ સ્ટોપ સુધી પાણી ભરાઈ ગયું છે. અનેક સ્થળોએ લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં હવામાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અમદાવાદમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી લબાલબ થઈ ગયા છે, જેના કારણે રસ્તા અને તળાવ વચ્ચેનો ફરક કરવો મુશ્કેલ બની ગયો છે. રોજિંદા કામ માટે બહાર નીકળતા લોકો અને સ્કૂલ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે આગામી 3 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી સવારે 9:24 વાગ્યાથી બપોરે 12:24 વાગ્યા સુધી માટે છે. રાજ્યના 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 22 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદના બોપલ, પકવાન, શિલજ, ઘૂમા માનસી સર્કલ અને શેલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગુરુવાર રાતથી શરૂ થયેલો ભારે વરસાદ સવાર સુધી પણ યથાવત રહ્યો હતો. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને ભારે મુશ્કેલી બાદ તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે. તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

વરસાદી પાણીના કારણે સ્કૂલ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં બાળકોને ઘૂંટણથી ઉપર સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે. રોજિંદા કામ માટે બહાર નીકળતા લોકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. રસ્તાઓ અને બસ સ્ટોપ સહિત અનેક જગ્યાઓ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે.

અમદાવાદમાં દોશીવાળા પોળમાં ગોપીનાથજીની હવેલી ખડકીમાં એક મકાન ધરાસાયી થયું. ઘટનામાં કોઈ જાનહાની નહીં હોવાથી સહુએ હાંશકારો લીધો








