નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેર પોલીસના ચોપડે નોંધાયેલા અપહરણ (Jamnagar kidnapping case) અને બળજબરીથી ઉઘરાણીના કેસમાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બેંક કર્મચારી અને તેમના પરિવારનું અપહરણ કરી જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી અને મારકૂટ કરી રૂપિયા પડાવવાનો ગુનો જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન (‘B’ Division Police Station Jamnagar City) ખાતે નોંધાયો હતો.
અપહરણ અને બળજબરીથી ઉઘરાણી કઢાવવાના કેસમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા અને એક અજાણ્યા શખસની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં 27.20 લાખ રૂપિયાની લેવડદેવડને લઈને વિવાદ સર્જાતા આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યું હતું. જામનગર ખાતે એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરી અંદાજે 9.75 લાખ રૂપિયા બળજબરીથી વસૂલ્યા હતા.








