નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ હિંમતનગરમાં પત્થરમારા અને ડહોળાયેલી શાંતિથી રીતસર લોકો ધ્રુજી ગયા છે. વણઝારા વાસમાં બનેલી આ ઘટના પછી વણઝારા વાસના લોકો સામાન ભરી, તાળા લગાવી પલાયન કરી રહ્યા છે, જેની પાછળનું કારણ એવી છે કે અહીં મહિલાઓ અને બાળકોને લઈને ભારે ભયનો ઓથાર છે. રાત્રે પણ સતત કોઈ છુપો ભય અહીંના લોકોને સતાવી રહ્યો છે. પેટ્રોલ બોમ્બના હુમલા થશે તેવું તેમને લાગી રહ્યું છે, લગભગ આઠેક પરિવારો તો ઘર છોડી રવાના થઈ ગયા છે. આ તરફ મોડાસામાંથી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર અને અયોગ્ય પોસ્ટ મુકનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
હિંમતનગરમાં રવિવારે રામનવમી દરમિયાન નીકળેલી શોભાયાત્રા પર પત્થરમારો થયો હતો, આવું જ કાંઈક ખંભાતમાં પણ બન્યું હતું. જેના પછી અહીં કલમ 144 લાગુ કરવાના આદેશ થયા હતા. હિંસામાં ઘણા પોલીસ અધિકારીઓ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું. જ્યારે હિંમતનગરના વણઝારા વાસમાં તોફાન ફાટ્યા પછી પેટ્રોલ બોમ્બ ફેંકાયાની શંકાઓ ઊભી થઈ હતી. હવે માહોલ એવો તંગ બન્યો છે કે લોકો પોલીસ દ્વારા લેવાઈ રહેલા પગલાઓ છત્તાં અહીં ભયના ઓથાર નીચે એક રાત્રી કાઢવા જાણે તૈયાર ન હોય તે રીતે પલાયન કરવા લાગ્યા છે.
આ તરફ હિંમતનગરની ઘટનાનો વીડિયો એડિટ કરીને મોડાસાના એક શખ્સે સોશિયલ મીડયા પર વીડિયો ફરતો કરતાં આ ભડકાઉં પોસ્ટ મુકનાર યુવક સામે ગુનો નોંધી પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મોડાસાની રહેમાની સોસાયટીમાં રહેતા ઉબેદુલ્લા ઈકબાલ કુસકીવાલાએ હિંમતનગરમાં રવિવારે બનેલા બનાવ સંદર્ભે તેણે વીડિયો એડિટ કર્યા પછી વોટ્સેપ સ્ટેટસ પર પોસ્ટ મુકી હતી, હિન્દુ અને મુસ્લીમ ધર્મના લોકો વચ્ચે તોફાન થાય તેવો તે વીડિયો હોઈ પોલીસે તેની સામે તુરંત કાર્યવાહી હાથ ધરતાં તેને શાંતિ ડહોળવાના પ્રયાસને પગલે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.








