Patna HC on Media trial: પટણા હાઈકોર્ટ (Patna High Court)એ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે મીડિયા કોઈ પણ ફોજદારી કેસ સાથે જોડાયેલા તથ્યો અને કોર્ટની કાર્યવાહીનું નિષ્પક્ષ રીતે રિપોર્ટિંગ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કોઈ આરોપીને “માસ્ટરમાઈન્ડ“, “સ્કેમસ્ટર“, “કિંગપિન” અથવા તેને દોષિત દર્શાવતા અન્ય શબ્દોથી સંબોધિત ન કરવો જોઈએ. કોર્ટે જણાવ્યું કે આવા શબ્દો આરોપીના નિષ્પક્ષ ટ્રાયલ (Fair Trial)ના અધિકારને અસર પહોંચાડી શકે છે.
જસ્ટિસ અંશુલ (Justice Anshul)ની બેન્ચે 24 જૂનના આદેશમાં જણાવ્યું હતું કે મીડિયા ટ્રાયલ એવી રીતે ન થવો જોઈએ કે જેના કારણે કોઈ વ્યક્તિના નિષ્પક્ષ ટ્રાયલના અધિકારને નુકસાન થાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી કોર્ટ કોઈ વ્યક્તિને દોષિત જાહેર ન કરે ત્યાં સુધી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું રિપોર્ટિંગ કરવું યોગ્ય નથી.
કોર્ટે નોંધ્યું કે જે વ્યક્તિ હજુ દોષિત ઠેરવાયો નથી તેની છબીને નુકસાન પહોંચાડવું માનહાનિ અથવા અન્ય ગેરકાયદેસર કૃત્યની શ્રેણીમાં આવી શકે છે. કોર્ટ સમક્ષ કેસ વિચારાધીન હોય ત્યારે આરોપીને પહેલેથી જ દોષિત જાહેર કરવું યોગ્ય નથી.
આ આદેશ ઋષુ શ્રી (Rishu Shri) નામના અરજદારની અરજી પર સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. ઋષુ શ્રીએ બિહાર સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU) દ્વારા કથિત ટેન્ડર કૌભાંડ કેસમાં નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. તેમનો દાવો હતો કે 30 એપ્રિલ, 2025ના રોજ FIR નોંધાઈ હોવા છતાં તેમના ઘરે દરોડો 27 મે, 2026ના રોજ પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અરજદાર તરફથી સિનિયર એડવોકેટ નંદિતા રાવ (Nandita Rao)એ દલીલ કરી હતી કે તપાસ દરમિયાન તેમના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી, છતાં ટીવી ચેનલો, અખબારો, ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ અને સોશિયલ મીડિયા પર તેમને પહેલેથી જ દોષિત દર્શાવતી સમાચાર સામગ્રી પ્રસારિત કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ હતો કે પ્રાઇમ ટાઇમ ડિબેટ્સના કારણે ટ્રાયલ પહેલાં જ તેમની જાહેરમાં બદનામી કરવામાં આવી હતી, જેનાથી સાક્ષીઓ પર પણ અસર પડી શકે છે.
કોર્ટે નોંધ્યું કે વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઋષુ શ્રીને ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ દોષિત તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે યાદ અપાવ્યું કે બંધારણની કલમ 19(1)(a) હેઠળ પ્રેસને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ તેના પર કેટલાક વાજબી નિયંત્રણો પણ લાગુ પડે છે. કોર્ટે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રેસની સ્વતંત્રતા અને આરોપીના નિષ્પક્ષ ટ્રાયલના અધિકાર વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. કોર્ટે મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બિનજવાબદાર રિપોર્ટિંગ સામે ચેતવણી આપી હતી.
કોર્ટના આદેશ મુજબ મીડિયા સંસ્થાઓ કેસની હકીકતો અને કોર્ટની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરી શકશે, પરંતુ તેઓ આરોપીને દોષિત તરીકે રજૂ કરી શકશે નહીં, આરોપીએ ગુનો કર્યો હોવાનું દર્શાવી શકશે નહીં, તેની ફોજદારી જવાબદારી નક્કી કરતું કોઈ સામગ્રી પ્રકાશિત અથવા પ્રસારિત કરી શકશે નહીં, તેમજ “માસ્ટરમાઈન્ડ”, “સ્કેમસ્ટર”, “કિંગપિન” જેવા દોષિતતા દર્શાવતા શબ્દોનો ઉપયોગ પણ કરી શકશે નહીં. ઉપરાંત, તપાસ દરમિયાન મળેલા કથિત કબૂલાતનામા, તપાસ સામગ્રી અથવા હજુ સુધી પુરાવા તરીકે સ્વીકારાયા ન હોય એવા દસ્તાવેજોના આધારે મીડિયા ટ્રાયલ પણ કરી શકશે નહીં.
કોર્ટે સાથે જ સ્પષ્ટ કર્યું કે આ આદેશનો અર્થ એવો નથી કે મીડિયા તથ્ય આધારિત, નિષ્પક્ષ અને જવાબદાર રિપોર્ટિંગ કરી શકશે નહીં. ઉપરાંત, કોર્ટે સ્પેશિયલ વિજિલન્સ યુનિટ (SVU)ને FIR નોંધાયા બાદ દરોડો પાડવામાં એક વર્ષનો વિલંબ કેમ થયો તેનો ખુલાસો કરવા જણાવ્યું છે. સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પોતાનો કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 10 જુલાઈએ થશે.








