નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: સાબરકાંઠામાં ગઈકાલે માનવતાને નેવે મૂકનારો કિસ્સો સામે આવ્યો હતો. હિંમતનગરમાં એક ગામમાં જીઇબીની નજીક એક નવજાત બાળકી તરછોડેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી જેમાં સામે આવ્યું છે કે બાળકીને જન્મ આપનારી માતાએ જ બાળકીને મરવા માટે ત્યજી દીધી હતી. નવજાત જીવતી બાળકીને જમીનમાં દાટી દેવામાં આવી હતી. સગી માએ તો બાળકીને મરવા માટે છોડી દીધી હતી, પરંતુ બાળકીના વિધિના લેખ કઈક અલગ જ લખાયા હતા કારણ કે જનેતાએ ત્યજી દીધેલી બાળકીને ધરતી માતાએ બચાવી લીધી હતી.
માહિતી અનુસાર, સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈ ગામમાં જીઇબી નજીક આવેલા હિતેન્દ્રસિંહના ખેતરમાંથી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવી હતી, પરંતુ બાળકી હજુ સુધી જીવનની લડાઈ લડી રહી હતી. ખેતરમાં ખેતકામ કરી રહેલી મહિલાએ જમીનમાં કઈક હલતું જોઈ જતાં આસપાસના લોકોને તત્કાલીક બોલાવી લીધા હતા. ભેગા થયેલા લોકોએ જમીન ખોદવાનું શરૂ કરતાં જે મળી આવ્યું હતું તે જોઈ ને સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. જમીનમાંથી નવજાત બાળકી જીવતી મળી આવી હતી.
એકત્રિત થયેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 108માં સવાર સુપરવાઈઝર જૈમિન પટેલે જણાવ્યા અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ બાળકી અંગેનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ અમે ઘટના સ્થળે પહોંચીને સારવાર શરૂ કરી હતી. ઉપરાંત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ન થાય માટે બીવીડબલ્યુ વડે કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો.
હાલ આ બાળકી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. બાળકીને જન્મ આપનારી માતાને ઘરે ડિલિવરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે બાળકીની નાળ કાપી ન હતી અને તેની પર કોઈ હોસ્પિટલનું સ્ટિકર લગાવેલું ન હતું. સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર, બાળકીનો જન્મ 7માં મહિનામાં થયો હોવાનું અનુમાન લાગવાવમાં આવી રહ્યું છે, કારણ કે બાળકીનું વજન 1 કિલો જેટલું જ હતું. ઉપરાંત નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહ્યો હતો. પોલીસે બાળકીના માતા પિતા મળી આવ્યા હતા. જેમાં માતાએ જ બાળકીને ત્યજી હોવાનું સ્વીકાર્યું હતું. પરિવારની પરિસ્થિતી સારી ન હોવાના કારણે તેનું ભરણપોષણ કરી શકે તેમ ન હતી. તેથી બાળકીને દાટી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ માતા-પિતાની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે.








