નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઈ છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ફરી એકવાર બેઠી થવોનો પ્રયત્ન કરી રહી છે. તેવામાં ગુજરાત કોંગ્રેસની જવાબદારી જગ્દીશ ઠાકોર (Jagdish Thakor) પાસેથી આચંકીને સાંસદ શક્તિસિંહ ગોહિલને (Shaktisinh Gohil) સોંપવામાં આવી છે. પરંતું હજી પણ કોંગ્રેસમાં નેતાની નારાજગીનો અંત નથી આવી રહ્યો. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખે (Gyasuddin Shaikh) સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત વિધાનસભા પહેલા ગુજરાત કોંગ્રેસની કમાન જગ્દીશ ઠાકોરને સોંપવામાં આવી હતી. પરંતું તેમણે જેવા ગર્જયા તેવું પરિણામ જોવા ન મળ્યું, આખરે ગુજરાતમાં કોંગ્રેસની હારના મુળીયા સુધી પહોંચવા માટે હાઈકમાન્ડની સત્ય શોધક કમીટીએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને હાઈકમાન્ડને ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં પૈસાના બદલામાં કોંગ્રેસમાં ટિકિટની વહેચણી થઈ હોવાનો પણ ઉલ્લેખ થયો હોવાની ચર્ચાઓ પણ સામે આવી હતી. હાઈકમાન્ડને રિપોર્ટ મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ થવાની ચર્ચાઓ જાગી હતી.
ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગ્દીશ ઠાકોર પાસેથી જવાબદારી આંચકીને આ જવાબદારી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ મળતાં પ્રદેશ અધ્યક્ષ સહિતના સિનિયર નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવતા દિલ્હી ખાતે પહોંચ્યા છે. તેવામાં દિલ્હીમાં ગુજરાતના સિનિયર નેતાઓ અને કોંગ્રેસના અધ્યક્ષ ખડગે સાથેને તસ્વીર મુકીને અમદાવાદના પૂર્વ ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ તમને વિનંતી કરે છે કે, એવુ લાગી રહ્યું છે ગુજરાત કોંગ્રેસને ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં કોંગ્રેસે કોઈ બોધપાઠ ન લીધો હોય? શું ખરાબ હારના કારણોની તપાસ કરનારી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે જેમણે રાત-દિવસ કામ કર્યું છે તેમને પણ મહત્વ આપવું જોઈએ?








