નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચાર ગેરરીતિ માટે જવાબદાર ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે પોષણ અભિયાનનાં નામે ગુજરાતનાં બાળકો અને મહિલાઓને લાભ થવાને બદલે ભાજપ સરકારના મળતીયાઓ-કાળા બજારીયાઓ કરોડો રૂપિયા બારોબાર સગેવગે કરી લૂંટ ચલાવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, મહામારીમાં આર્થિક સંકળામણને લીધે મજબૂર બનેલા લાખો પરિવારને મળવા પાત્ર અન્ન વિતરણમાં અનેક ગેરરીતિઓ થઈ રહી છે. ગુજરાતના 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે છેલ્લા ચાર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, ગરીબ–સામાન્ય–મધ્યમવર્ગના 70,81,174 કાર્ડ ધારકો તુવેરદાળ મેળવવાથી વંચિત છે. સાથોસાથ ગુજરાતમાં 46 ટકા બાળકો અને 55 ટકા મહિલાઓ કુપોષણનો ભોગ છે.
વઘુમાં જણાવ્યું હતું કે, ગરીબોનાં હક્કનું અનાજ તેમના મોંમા અન્નનાં કોળિયાને બદલે અણઘડ, ભ્રષ્ટાચારી વહીવટને લીધે ગુજરાતના સરકારી ગોડાઉનમાં પાંચ વર્ષમાં જ ૮.૭૨ લાખ કિલો અનાજ સડી ગયું..! વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૯૪ ટન અને ૨૦૨૦-૨૧માં ૩૪ ટન અનાજ સડી ગયું. આ છે પ્રગતિશીલ ગુજરાત…? મહામારીમાં લોકડાઉન પછી અનેક શ્રમિક-વંચિત પરિવારને ખાવાના ફાંફા પડ્યા હોવાનો હંગર વોચ સર્વેમાં ખુલ્લું થયું છે. ગુજરાતમાં ૨૧ ટકા લોકોને ભૂખ્યા સૂવું પડે છે. કારણકે ઘરમાં અન્નનો દાણો નથી હોતો.
અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ તુવેરદાળ ખરીદીમાં મોટા પાયે વિસંગતતા – અનિયમિતતાને પગલે સામાન્ય-ગરીબ પરિવારો ખાનગી દુકાનોમાંથી દાળની ખરીદી કરવા મજબૂર બન્યા છે. તુવેરદાળના ગુજરાતમાં અનેક ઉત્પાદકો હોવા છતાં તુવેર દાળ મિલોથી ઉંચા ભાવે ખરીદી કરતું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની તુવેરદાળ સપ્લાયર વચ્ચે ગોઠવણથી 180 કરોડ રૂપિયાનું સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે બજારમાં રૂ. 60 થી 62 માં મળતી તુવેરદાળ રૂ. 95 ના ઉંચા ભાવે ખરીદી પાછળ કોણ જવાબદાર છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે. રૂ. 61, રૂ. 64, રૂ. 71 ની તુવેરદાળના વિતરણ માટે અલગ – અલગ ભાવનો ખુદ અન્ન – નાગરિક પુરવઠા વિભાગ સ્વીકાર કર્યો છે. સાથોસાથ તુવેરદાળનું ઉત્પાદન નથી કરતી તેવી કંપનીને વિશેષ આશીર્વાદથી પુરવઠા સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.
આવી મળતીયા કંપનીઓ તુવેરદાળનો જથ્થો સમયસર ગુજરાત અન્ન નાગરિક પુરવઠાને સપ્લાય કરવામાં નિષ્ફળ રહી છે તેમ છતાં સચિવાલયમાં બેઠેલા કયા લોકો આવી નિષ્ફળ કંપનીઓને બચાવી રહ્યું છે? અહેવાલો રાતોરાત કોના આદેશથી ગાયબ થયા ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












