નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: વિશ્વ કક્ષાએ યોજાતા વિવિધ પ્રકારના સંમેલન પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલો હોય છે. વ્યૂહાત્મક તેમજ ભવિષ્ય માટે નવી રણનિતી બનાવવાના ભાગરૂપે દુનિયાના 197 દેશો સતત પ્રયત્નશીલ રહે છે. કયા ડીઆરએસએચ સાથે કેવા સંબંધો ફળદાયી નીવડી શકે તેમજ ભવિષ્યમાં પોતાના દેશ પર કોઈ આર્થિક, કુદરતી કે બીજા કોઈ પ્રકારની અણધારી આફત આવી પડે તો આવી પડેલી આફતને કેવી રીતે કયા દેશના સહયોગથી નિવારી શકાય જેવા મુદ્દા આ પ્રકારના સંમેલનનો મુખ્ય હેતુ થઈ રહે છે. ત્યારે દુનિયાના દેશો વચ્ચે વિવિધ સંમેલનો અસ્તિત્વમાં આવ્યા છે. જેમાં BRICS તેમજ UN તથા G-20 જેવા સંમેલનો (G20 Summit) સમાવિષ્ટ છે. આવનાર બે સપ્તાહમાં 20 દેશોના વડા આ વર્ષની યજમાની કરી રહેલા ભારત દેશમાં G-20 સંમેલનમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા મળી રહ્યા છે, ત્યારે G-20 સંમેલન શું છે અને ક્યારથી કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તે બાબત જાણવી ખૂબ જ આવશ્યક બની જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં તેમજ જાહેર રસ્તાઓ પરના સર્કલ પર G-20ના બેનર જોવા મળી રહ્યા છે. G-20 ટ્વેન્ટી દેશોનું એક જૂથ છે. જી20 સમૂહના સભ્યદેશો વિશ્વના અર્થતંત્રમાં 85 ટકાનો હિસ્સો ધરાવે છે, જ્યારે વૈશ્વિક વેપારમાં તેમની ભાગીદારી 75 ટકાની છે. વિશ્વની કુલ વસ્તીની લગભગ 66 ટકા વસ્તી આ જી20 સમૂહના સભ્ય દેશોમાં વસે છે. આ વર્ષે 2023માં ભારત G-20 સંમેલનનું (G20 Summit in Delhi) પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. દિલ્હી ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G-20 શિખર સંમેલનના નેતાઓની બેઠક મળવાની છે. ભારતમાં આ વર્ષે આયોજીત G-20 સંમેલનની મુખ્ય થીમ છે “ટકાઉ વિકાસ” એટલે કે સસ્ટેનેબલ ડેવલપમૅન્ટ. 1997-1998માં વિશ્વમાં ઊભી થયેલી મંદી બાદ મંદીના પડકારોને પહોંચી વળવા 1999માં G-20ની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય આશય નાણાકીય સંકટ સામે એકજૂટ થઈ લડવાનો તથા સભ્ય દેશોને મદદ કરવાનો છે. વર્ષ 2007ની મંદી બાદ G-20ને સભ્ય દેશોના વડા પ્રમુખોના સ્તરે ચર્ચા માટેનું મંચ બનાવી દેવામાં આવ્યું.
G-20નું પ્રથમ શિખર સંમેલન વર્ષ-2008માં અમેરિકાના વોશિગ્ટન ડીસીમાં યોજાયું હતું. ત્યારબાદ 2009માં લંડનમાં યોજવામાં આવ્યું હતું. દર વર્ષે G-20સંમેલનનો યજમાન દેશ બદલાતો રહે છે. જી20 સમૂહમાં યુરોપિયન યુનિયન અને 19 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે. સાથે જ G-20નું 7 દેશોનું જૂથ પણ બનેલું છે. જે G-20 માં સમાવિષ્ટ સાત દેશોનું બનેલું છે. 6 નવેમ્બર 2022ના રોજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે મળેલા જી20 સંમેલનમાં વડા પ્રધાન મોદીને પ્રતીકાત્મક રીતે જી20 પ્રમુખપદની કમાન સોંપી હતી. અને ભારતે 1લી ડિસેમ્બર 2022ના રોજ સત્તાવાર રીતે વર્ષ લાંબા જી20નું પ્રમુખપદ સંભાળ્યું હતું. જે 30મી નવેમ્બર 2023 સુધી ચાલશે.
જી20-2023ના કાર્યકારી જૂથમાં શેરપા ટ્રૅક અને નાણાકીય ટ્રૅક એમ બે ટ્રૅક છે. શેરપા ટ્રૅકમાં ખેતી, વિકાસ, રોજગાર, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જી20ના નાણાકીય ટ્રૅકમાં ફ્રૅમવર્ક વર્કિંગ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ આર્કિટેક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ, નાણાકીય ક્ષેત્રના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2008 અને 2009માં વિશ્વએ આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો. આર્થિક મંદીના પડકારને પહોચી વળવામાં G-20 સંમેલને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. G-20 સંમેલનના કારણે જ વિશ્વ મંદીના પડકારને સરળતાથી પહોંચી વળી શક્યું. વિશ્વના કેટલાક વિવેચકોનું માનવું એવું પણ રહ્યું છે કે, ત્યારબાદ યોજાયેલા સંમેલનો એટલા ફળદાયી રહ્યા નથી. કારણ કે, દુશ્મન રાષ્ટ્રો વચ્ચે સતત તણાવ જેવી પરિસ્થિતી ઊભી થઈ છે. છતાં એકંદરે G-20 સમેલનમાં 20 દેશોના વડા અથવા પ્રમુખો એકબીજાને મળી શકે છે તથા દ્વિપક્ષીય ચર્ચા દ્વારા પોતાના દેશની સમસ્યાનો ઉકેલ લાવી શકે તેવી સ્થિતિ ઊભી કરી શકાય છે. જે આજની તણાવભરી વૈશ્વિક સ્થિતિ માટે હકારાત્મક બાબત ગણી શકાય.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








