નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની સામે ચાર્જશીટ રજૂ કરી હતી. EDએ તેની ચાર્જશીટમાં તેમને આરોપી તરીકે જાહેર કર્યો છે. ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે જેકલીનને 26 સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું હતું.
આ પહેલા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા 19 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી. સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કેસમાં અભિનેત્રીને EOW દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અગાઉ જેકલીન ફર્નાન્ડીઝની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન અને પિંકી ઈરાનીની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન અને પિંકી ઈરાની વચ્ચે ખૂબ બોલાચાલી થઈ હતી.
દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર પિંકી ઈરાનીએ જ સુકેશ ચંદ્રશેખરને જેકલીન સાથે મુલાકાત કરાવી હતી. પિંકી ઈરાનીએ કહ્યું કે જેકલીન જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ પછી પણ જેકલીને તેની પાસેથી ગિફ્ટ લીધી હતી. જોકે જેક્લિને કહ્યું છે કે પિંકી જૂઠું બોલી રહી છે અને તેને કોઈ જાણ નહોતી. અગાઉ EOW એ જેકલીન ફર્નાન્ડીઝના મેનેજર પ્રશાંત પાસેથી ડુકાટી બાઇક રિકવર કરી હતી. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયા છે. આ બાઇક સુકેશ ચંદ્રશેખરે પ્રશાંતને છેતરપિંડીના પૈસા આપીને આપી હતી. ફેબ્રુઆરી 2021માં સુકેશે આ બાઇક જેકલીનના મેનેજરને આપી હતી.








