નવજીવન ન્યૂઝ, સુરત : ત્રણ દસકા કરતાં વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) માં શાસન કરી રહી છે. કૉંગ્રેસમાં થયેલા બળવાથી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના શાસનનો પાયો નંખાયો હતો. સુરત કૉર્પોરેશનમાં ભાજપની પહેલી સત્તા કૉંગ્રેસના બળવાખોર સાથે ગઠબંધન કરીને મેળવી હતી. અત્રે નોંધનીય છે કે, ફેબ્રુઆરી-1990માં કૉંગ્રેસ પાર્ટીમાં બળવો થયો હતો. જે ભાજપ માટે લૉટરી (Lottery for BJP) સાબિત થયો હતો.
સુરત સુધરાઈમાંથી વર્ષ 1966માં સુરત મહાનગરપાલિકા રૂપાંતરિત થઈ હતી. ત્યારથી 1990 સુધીના મહત્તમ સમયગાળામાં સુરત પાલિકામાં કૉંગ્રેસ સત્તા સ્થાને રહી હતી. પરંતુ કૉંગ્રેસની સત્તાની ભાગ બટાઈમાં જૂથબંધી ચરમસીમા 1990ની શરુઆતમાં પહોંચી ગઈ હતી. કૉંગ્રેસની આ જૂથબંધીના કારણે જ ભાજપને સુરત પાલિકામાં સત્તાનો સ્વાદ ચાખવાનો મોકો મળ્યો હતો. વર્ષ 1990માં સુરતના મેયર તરીકે કૉંગ્રેસના પ્રતાપ કંથારિયાની નિમણૂક થયા બાદ જૂથબંધી વધુ આક્રમક બની ગઈ હતી અને કૉંગ્રેસ પાર્ટી (Congress Party) ને પાલિકામાંથી સત્તાના વનવાસની શરૂઆત થઈ હતી.
વર્ષ 1990ની ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખે કૉંગ્રેસના બળવાખોર અજીત દેસાઈએ તેમના કેટલાંક સાથીઓ સાથે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપની મદદથી અજીત દેસાઈ મેયર બન્યા હતા. ત્યારબાદ 1992માં બાબરી ધ્વંસ બાદ કોમી તોફાન અને હિન્દુત્વની લહેરની એવી અસર થઈ કે, 9 બેઠકમાંથી 98 બેઠક ભાજપને ફાળે અને એક બેઠક અપક્ષને મળી હતી. જોકે, પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) બાદ કૉંગ્રેસ ફરી જીવતી થઈ હતી અને કૉંગ્રેસના ફાળે 36 બેઠક ગઈ હતી. જોકે, ત્યારબાદ ગત ચૂંટણીમાં આંદોલનકારીઓએ કૉંગ્રેસનો સાથ છોડી દેતા આપની 27 બેઠક આવી હતી અને ગત ચૂંટણીમાં પણ 1995ની ચૂંટણી જેમ કૉંગ્રેસ ફરીથી શૂન્ય થઈ ગઈ હતી.








