નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ જાહેર કાર્યક્રમો અને વિવિધ ઉત્સવોની ઉજવણીમાં કરોડોનો ધુમાડો કરતી ભાજપ સરકાર પાસે આજે દેશના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રોજગારી આપવા માટે ગ્રાન્ટ નથી કે શું ? મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી કાયદા હેઠળ રોજગાર મેળવતા અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના 300 થી વધુ ગરીબ પરિવારના લોકોને છેલ્લા ત્રણ મહિનાથી મહેનતાણું નહીં મળતા હાલત કફોડી બની છે. હોળી-દૂળેટીના પર્વમાં ગરીબ પરિવારો માટે હૈયા હોળી બને તે પહેલા લોકોએ રામધૂન બોલાવી સરકાર અને તંત્રને ગાઢ નિંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

કેન્દ્રસરકાર દ્વારા ગરીબ લોકોને કામના પ્રમાણમાં રોજગારી મળી શકે તે માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ગરીબ લોકોને તળાવોમાં ચોકડી ખોદવી વગેરે કામ આપવામાં આવે છે અને એ કામના નિયમ મુજબ નાણાં ચૂકવવામાં આવે છે ત્યારે મેઘરજના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આશરે 300થી વધુ પરિવારોએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા ત્રણ માસથી મનરેગા દ્વારા કરેલા કામના નાણાં ચૂકવવામાં આવ્યા નથી.
આ ગરીબ લોકોનો હાલ રોજગારી માટે એક માત્ર આધાર મનરેગાના કામ ઉપર છે ત્યારે છેલ્લા ત્રણ માસથી ખાવા માટે પણ ફાંફાં પડી રહ્યા છે. આદિવાસી સમાજ માટે હોળીએ મુખ્ય તહેવાર ગણાય છે ત્યારે નાના બાળકો પણ તહેવાર ટાણે કપડાં વગર ટળવળે છે ત્યારે આ વર્ષે પૈસા વગર ગરીબોની હોળીના તહેવારમાં હાલત દયનિય બની છે.
મનરેગામાં કામ કરનાર મહિલાના જણાવ્યા અનુસાર, ત્રણ ત્રણ માસથી કામના નાણાંના મળતા ઘરનું તંત્ર બદલાઈ ગયું છે, ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. મનરેગાના નાણાં વગર ટળવળું પડતા છેવટે ગરીબ પરિવારોએ હોળી સમયે નાણાં મળે તે માટે પોતાના નિવાસ સ્થાને જ રામધૂન કરી હતી અને તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કરી ઝડપી મનરેગાના હકના નાણાં માટે માંગ છે.
![]() |
![]() |
![]() |











