નવજીવન ન્યૂઝ. બેગુસરાઈઃ બિહારના બેગુસરાઈમાં ગુનેગારોએ બિહાર પોલીસ અને નીતીશ સરકાર બંનેને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બે ગુંડાતત્વો અનેક જગ્યાઓ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. જેમાં એકનું મોત થયું અને દસ લોકો ઘાયલ થયા. મંગળવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બેગુસરાય જિલ્લાના એક ખૂણાના બચવારામાં ગોળીબારની ઘટના શરૂ થઈ હતી જ્યાં બે લોકોને ગોળી વાગી હતી. બચવાડા પછી સિમરિયા ખાતે જિલ્લાની સરહદ પાર કરતા પહેલા બાઇક પર આવેલા બે ગુંડાતત્વોએ 11 લોકોને ગોળી મારી હતી. જેમાં એકનું મોત થયું હતું.
બચવાડાના ગોધના વિસ્તારમાં બે લોકોને ગોળી માર્યા બાદ તેઘરામાં બે લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. તેઘરા બાદ બરૌનીમાં ગુનેગારોએ બે લોકોને ગોળી મારી હતી. આ પછી માલહીપુર અને બરૌનીમાં બે અને ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી ગુનેગારો ગંગા નદી પર બનેલા સિમરિયા પુલ દ્વારા પટના જિલ્લામાં પ્રવેશ્યા હતા. પોલીસનું કહેવું છે કે ગુનેગારો સમસ્તીપુર જિલ્લાની બાજુથી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ પટના જિલ્લા તરફ ગયા હતા. કયા સ્થળે કેટલા લોકોને ગોળી વાગી હતી તે અંગે સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ પોલીસે કુલ 9 લોકો ઘાયલ થયા હતા અને 1નું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરી છે.
બરૌનીથી બચવાડા વચ્ચેનું અંતર લગભગ 30 કિલોમીટર છે, આ દરમિયાન તે એક કલાક સુધી દરેક જગ્યાએ લોકો પર ગોળીબાર કરતા રહ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફાયરિંગમાં એકનું મોત થયું છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે. બેગુસરાય જિલ્લામાં ફાયરિંગની ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બદમાશો આ ઘટનાને અંજામ આપ્યા પછી બચવારા થઈને નાસી છૂટ્યા હતા.
ગોળીઓનો અવાજ સાંભળીને દરેક જગ્યાએ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ મચાવી હતી. બાઇક સવારોએ હથિયારોથી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ ઘટના બચવારા, ફુલબારિયા, બરૌની અને ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. બરૌની પોલીસ સ્ટેશનના પિપરા દેવાસ ગામના ચંદન કુમારનું અંધાધૂંધ ફાયરિંગમાં મોત થયું છે. આ ઘટના બાદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે અને લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે.
![]() |
![]() |
![]() |











