નવજીવન ન્યૂઝ. દ્વારાકાઃ વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થાન દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં મોટા પાયે સરકારી જમીન પર દબાણ કર્યું હોવાની જાણકારી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને મળતા આજે સવારથી ડિમોલેશન ઓપરેશન શરૂકરવામાં આવ્યું હતું. 6 જિલ્લાની પોલીસને સાથે રાખીને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે પોલીસનો કાફલો બોટ ભરીને ગયો હતો.
દેશમાં PFI અને તેની સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તેવામાં ગુજરાતના દ્વારકામાં PFIની આંશકાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. IG, SP, સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીની સાથે SRPનો કાફલો ડિમોલેશન દરમિયાન તૈનાત કરવામાં આવ્યો હતો. અંદાજીત 1 હજાર જેટલી પોલીસનો કાફલો બેટ દ્વારકામાં ખડકી દેવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી બેટ દ્વારકાના પાછળની અનેક જગ્યાઓ પર ગેર કાયદેસર રીતે સરકારી જમીન પર મકાનો અને ધાર્મીક સ્થળો બનાવીને જમીન કોભાંડ આચરવામાં આવ્યું હતું. જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓએ બેટ દ્વારકામાં ધામા નાખ્યા છે. કાર્યવાહી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલ સાંજથી જ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. આજે ડિમોલેશનની કાર્યવાહી બાદ લાખો ફૂટની જમીન પરથી દબાણ દૂર થાય તેવી સંભાવના રહેલી છે.








