નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Atiq Ahmed Case Updates: આજરોજ યુ.પી. પોલીસની (UP Police) ટીમ સાબરમતી જેલ (Sabarmati Central Jail) ખાતે ગેંગસ્ટર અતિક અહેમદનો (Gangster Atiq Ahmed) કબ્જો લેવા પહોંચી હતી. કલાકો સુધી ચાલેલી દલીલો અને અતિક અહેમદના ઈન્કાર બાદ યુ.પી. પોલીસને અતિક અહેમદનો કબ્જો મળી ગયો છે. અતિક અહેમદનો કબ્જો મળતા જ યુ.પી. પોલીસ અતિક અહેમદને લઈ સાબરમતી જેલથી પ્રયાગરાજ (Sabarmati Jail to Prayagraj) જવા રવાના થઈ ચૂકી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે ઉત્તર પ્રદેશ ટાસ્ક ફોર્સની ટીમ અમદાવાદની સાબરમતી જેલ ખાતે પહોંચી હતી. યુ.પી. પોલીસની આ ટીમ યુ.પી.ના પૂર્વ સાંસદ અને કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદનો કબ્જો મેળવવા માટે પહોંચી હતી. પરંતુ આજરોજ બપોર સુધી અનેક ચર્ચાઓ અને અતિકની દલીલો બાદ યુ.પી. પોલીસને અતિકનો કબ્જો મળ્યો હતો. મહત્વની વાત છે કે અતિક અહેમદ પ્રયાગરાજમાં સરાજાહેર ઉમેશ પાલ હત્યા કાંડ બાદ ફરી ચર્ચામાં આવ્યો હતો. બાદમાં પ્રયાગરાજ પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે અતિક અહેમદ ઉમેશ પાલની હત્યાના કાવતરાંમાં સામેલ હતો. આ માહિતી સામે આવતા જ યુ.પી. પોલીસ હરકતમાં આવી હતી અને અતિક અહેમદની પુછપરછ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ અતિક અહેમદે ધરપકડનો અંદેશો આવતા જ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આશંકા વ્યક્ત કરી હતી કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરી શકે છે.
એવામાં આજરોજ યુ.પી. ટાસ્ક ફોર્સની ટીમ સાબરમતી જેલ ખાતે અતિકને કોર્ટમાં હાજર રાખવાના કોર્ટના આદેશ સાથે પહોંચી હતી. શરૂઆતમાં આશંકા સેવાઈ રહી હતી કે અતિક અહેમદનો મામલો સુપ્રિમ કોર્ટ સમક્ષ હોય અતિકને યુ.પી. પોલીસ લઈ જઈ શકશે નહીં. પરંતુ લાંબી ચર્ચાઓ અને કલાકોની મહેનત બાદ યુ.પી. પોલીસને સફળતા મળી હતી અને અતિક અહેમદનો કબ્જો મળી ગયો છે. યુ.પી. પોલીસને અતિકનો કબ્જો મળતાની સાથે જ સાબરમતી જેલ તંત્ર દ્વારા અતિક અહેમદ યુ.પી.થી આવેલી ટાસ્ક ફોર્સને સોંપી દેવામાં આવ્યો હતો. યુ.પી પોલીસને અતિક સોંપવામાં આવતાની સાથે જ યુ.પી. ટાસ્ફ ફોર્સની 40 જેટલા લોકોની ટીમ તેને ખાસ વાહનોમાં લઈ યુ.પી. જવા રવાના થયા છે.
યુ.પી. પોલીસ આજરોજ સાંજે 5:30 વાગ્યા આસપાસ અતિકને લઈ રવાના થઈ હતી. જેમાં અતિકને આઈસર પ્રીઝન વાનમાં બેસાડી દેવાયો હતો અને સાથે કેટલાક હથિયારધારી પોલીસ કર્મચારીઓને બેસાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક હથિયારી પોલીસની વાન અને પોલીસના વાહનોનો કાફલો સુરક્ષા માટે સાથે રાખવામાં આવ્યો છે. માનવમાં આવે છે કે અતિક અહેમદને પ્રયાગરાજ સુધી પહોંચાડવામાં 36 કલાક જેટલો સમય લાગશે. મહત્વની વાત છે કે હાલ અતિકને પોલીસ કોર્ટની સુનવણી સમયે મુદતમાં હાજર રાખવા માટેના આદેશના પગલે યુ.પી. લઈ જઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








