નવજીવન ન્યૂઝ. આણંદઃ ગુજરાતમાં હાલ નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખૈલયાઓને બે વર્ષ બાદ ગરબા રમવા મળતા મનભરીને ગરબે ઝુમી રહ્યા છે. ત્યારે નોરતાના બે દિવસમાં ગરબે ઝુમતા બે લોકોના મોત થયા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક ઘટના રાજકોટમાં બની છે. જ્યારે બીજી ઘટના આણંદમાં બની છે. ગરબે ઝુમી રહેલા યુવાનું અચાનક મોત થતાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આણંદના તારાપુરમાં શિવ શક્તિ સોસાયટીમાં ગરબાની રમઝટ ચાલી રહી હતી. જેમાં વિરેન્દ્ર રાજપુત નામનો યુવાન પણ ગરબાના તાલે ઝુમી રહ્યો. આ દરમિયાન તે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. વિરેન્દ્ર ઢળી પડતા સ્થાનિક લોકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતું વિરેન્દ્રનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આવો જ એક બનાવ રાજકોટમાં પણ સામે આવ્યો છે. રાજકોટના વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષના પ્રવિણભાઈ મૂળજીભાઈ દેથરિયા 80 ફૂટ રિંગ રોડ પાસે આવેલા ધનરાજ પાર્કમાં સ્થાનિકો સાથે ગરબાને તાલે ઝુમી રહ્યા હતા. આ દરમિયાન તેઓને ચક્કર આવતા જમીન પર ઢળી પડ્યા હતા. જેથી સ્થાનિક લોકોએ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા.








