Mehsana case: મહેસાણા જિલ્લામાંથી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લીધાની ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જ્યો છે. કલોલ નજીક પિયજ કેનાલ વિસ્તારમાં માતા, દીકરી અને બે વર્ષની બાળકીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના તળેટી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે. મૃતકોમાં પ્રજાપતિ સંગીતાબેન ગોરધનભાઈ, તેમની પુત્રી નેહા અને નેહાની બે વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. ત્રણેયે કલોલના પિયજ નજીક આવેલી કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આજે સવારે કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં કલોલ પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ મૃતક નેહાની સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમાં કેટલાક ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પોસ્ટ અનુસાર, ભાભી તરફથી મળતા માનસિક ત્રાસના કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ભાભીએ ભાઈને માતા અને બહેન વિરુદ્ધ કરી દીધા હોવાનો તેમજ સાસુને પણ પોતાની તરફેણમાં ચડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં આત્મહત્યા પાછળ દીપક, અજય મામા કે ગોરધનભાઈનો કોઈ વાંક ન હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ કલોલ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. આત્મહત્યાના કારણો, સોશિયલ મીડિયા પોસ્ટની હકીકત તેમજ અન્ય તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.








