નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Gold Loot Case: રાજ્યમાં અનેક વખત પોતાના જ કર્મચારીઓ ચોરી કે લૂંટ કરી માલીકો સાથે દગો કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. શહેરના બુલીયનના વેપારીને તેમના જ કર્મચારીઓએ કરોડો રૂપિયાનો ચૂનો (Fraud) લગાવ્યો છે. જેમાં મુંબઈ સોનાની ડિલીવરી કરવા માટે મોકલેલો કર્મચારી અડધે રસ્તેથી જ કરોડોનું સોનું (Gold Loot) લઈને પલાયન થઈ જતા વેપારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch) ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રહેતા વિજય ઠુંમર સી.જી. રોડ ખાતે ક્રિષ્ટલ આર્કેડ ખાતે હનુમંત બુલીયન અને માણેકચોક ખાતે ઓફિસ રાખીને બુલીયન ગોલ્ડને લગતો વેપાર છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. તેમણે ઓફિસમાં કર્મચારી તરીકે અગાઉથી ઓળખતા ચિરાગ પંડ્યાના પુત્ર યશ પંડ્યાને નોકરી પર રાખ્યો હતો. વેપારીએ ગત 15થી 17 જાન્યુઆરીમાં સુરતથી 25 કિલો સોનું ખરીદ્યું હતું. આ સોનાને મુંબઈ ખાતે ડિલિવરી કરવાની હોવાથી ગત 19 જાન્યુઆરીએ વેપારીનો મિત્ર પાર્થ શાહ, પાર્થનો સાળો આદિત્ય અને પાર્થની ઓફિસનો કર્મચારી મેહુલ અને વેપારીનો કર્મચારી યશ પંડ્યા 25 કિલો સોનું લઈને ઓફિસથી નિકળ્યા હતા.
આ ચારેય લોકો સી.ટી.એમ. એક્સપ્રેસ હાઈવે પરના નાકા પરથી રાત્રીના સમયે આવ્યા હતા. ત્યારબાદ અગિયારેક વાગ્યે સોનું ભરેલી બે બેગ પૈકી 10 કિલો સોનું ભરેલી બેગ આદિત્ય અને 15 કિલો સોનુ ભરેલી બેગ યશ પંડ્યા આપીને લક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસાડીને પાર્થ શાહ અને મેહુલ ઘરે રવાના થયા હતા.
બીજા દિવસે વહેલી સવારે મિત્રના સાળાએ વેપારીને ફોન કરીને જણાવ્યું હતું કે, ભરૂચથી અંકલેશ્વર વચ્ચે આવેલી હોટલ પર બસ ચા-પાણી માટે ઊભી રહી હતી. તે સમયે આદિત્ય વોશરૂમ કરવા ગયો તે વખતે યશ સોનું ભરેલા બંને બેગ લઈને એક ઈનોવા કારમાં બેસીને ફરાર થઈ ગયો હોવાની જાણકારી આપી હતી. જેથી વેપારીએ યશને ફોન કરતા ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો. સમગ્ર બાબતે યશના પિતાને જાણ કરતાં પુત્રને શોધી લાવીશ અને સોનું પરત અપાવીશ કહીને ફરીયાદ ન કરવાનું જણાવ્યું હતું.
તે જ દિવસે બપોરે યશના પિતા વેપારીને મળવા માટે આવ્યા હતા અને કહ્યું હતું કે, યશનો ફોન બંધ આવી રહ્યો છે, તે હાલ મારા સંપર્કમાં નથી, પરંતુ મને જાણવા મળ્યું છે યશ તેનો મિત્ર નિરેક આચાર્ચ અને બીજા બે-ત્રણ માણસો ઈનોવા કારમાં બેસીને દિલ્હી તરફ ગયા છે. યશ સાથે સંપર્ક થશે એટલે તેને પરત બોલાવીને સોનું પરત કરી દઈશ, તમે ફરિયાદ ન કરતા. યશના પિતાની વાત માનીને વેપારીએ જે તે સમયે પોલીસમાં જાણ કરી ન હતી. પરંતુ આ બનાવને બે-ત્રણ દિવસ વિતી જવા છતાં યશનો પતો ન મળતા ગત 23 જાન્યુઆરીએ વેપારીએ પોલીસને અરજી આપી હતી. ત્યારે આ અરજીને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી રૂપિયા 13.50 કરોડના સોનાની લૂંટ અંગે તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








