નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છ જિલ્લાના લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં પાણીપુરી ખાધા બાદ 100થી વધુ લોકો અચાનક બીમાર પડતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અસરગ્રસ્તોને તાત્કાલિક ભૂજની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકો એક સાથે બીમાર પડતાં વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવને ગંભીરતાથી લઈને જિલ્લા આરોગ્ય વિભાગે તરત જ કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી રહી છે, જેથી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય.
સાવચેતીના ભાગરૂપે, લોડાઈ વિસ્તારમાં આવેલી ખાણી-પીણીની તમામ લારીઓને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જન આરોગ્યની સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.
હાલમાં તપાસ ચાલુ છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સામે આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ ગુજરાતમાં બની ચુક્યા છે.








