નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બોગસ ડોક્યુમેન્ટ્સએ રાજ્યમાં જાણે વિકસતો ધંધો હોય તેવી રીતે કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ડિંગુચા પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બોગસ પેપરથી વિદેશ મોકલતા કૌભાંડીઓ હાથ લાગ્યા છે. એવામાં અમદાવાદ મહિલા કોર્પોરેટરના નામના બોગસ રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરી આધાર કાર્ડ કાઢવાનો આરોપ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર આ મામલે હાલ અમદાવાદની આનંદનગર પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના નવા વાડજ વિસ્તારના કોર્પોરેટર ભાવનાબેન વાઘેલાના બોગસ રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરી આધાર કાર્ડનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ઘટનાની મળતી વિગતો મુજબ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પર આવેલા સોમેશ્વર કોમ્પલેક્ષમાં એસ.એમ. ડિજિટલ સેવાના નામે આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા માટેનું સેન્ટર ચાલી રહ્યું હતું. કોર્પોરેટરના આક્ષેપ અનુસાર આનંદનગર પોલીસ સ્ટેશનના નાક નીચે ચાલી રહેલા આ સેન્ટરમાં આધારકાર્ડ અને પાનકાર્ડ માટે તેમના નામ અને બોગસ રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ થતો હતો. જેમાં આરોપીઓ દ્વારા ગ્રાહકો પાસેથી ઉંચી રકમ વસૂલી ખુટતા કાગળ ગોઠવી આધારકાર્ડ કઢાવી આપવામાં આવતું હતું. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોર્પોરેટરને ખ્યાલ પડ્યો કે તેમના નામે કેન્યાના પાસપોર્ટ ધારકનું આધારકાર્ડ નીકળી ગયું છે.
મળતી માહિતી મુજબ, એસ.એમ. સેવા નામના કથિત રીતે બોગસ સેન્ટર મારફતે આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના સરકારી કાગળ બનાવી આપવા માટે અરજી કરવામાં આવતી હતા. પરંતુ સેન્ટર પર આવતા લોકો પાસે કોઈ પુરાવનો અભાવ હોય તો તે માટે પૈસા મેળવી બોગસ કાગળની ગોઠવણ કરવામાં આવતી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ સેન્ટર પરથી એક કેન્યાના નાગરિકનું આધારકાર્ડ પણ ઈશ્યુ કરાવી દેવાયું હતું. પરંતુ આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આધારકાર્ડ સાથે તેણે એક કચેરીમાં પોતાનો કેન્યાનો પાસપોર્ટ રજૂ કર્યો હતો. હાજર કર્મચારીએ કેન્યાના નાગરિકને આધારકાર્ડ કેમ મળ્યું તે બાબતે શંકા જતા ઉપરી અધિકારીને જાણ કરી હતી. બાદમાં આધારકાર્ડ માટે આપવામાં આવેલા કાગળ તપાસતા તેમાં મુકવામાં આવેલો કોર્પોરેટરનો પત્ર મળી આવ્યો હતો. કોર્પોરેટરના પત્રમાં તેમની નકલી સહી અને નકલી રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા મામલો નવા વાડજના કોર્પોરેટર ભાવનાબેન સુધી પહોંચ્યો હતો.
કોર્પોરેટરને જાણ થતા તેમણે આ સેન્ટર વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ મળતી વિગતો અનુસાર ફરિયાદ કરવા પહોંચેલા કોર્પોરેટરને બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું પડ્યું હતું. બાદમાં પી.આઈ. આવતા તેમની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાલ આ લખાય છે ત્યારે ચાલી રહી હોવાના અહેવાલ છે. આ મામલે પોલીસ તપાસ થાય તો બોગસ ડોક્યુમેન્ટ્સનું મસમોટું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ રહેલી છે. જોવું રહ્યું કે પોલીસ આ મામલે કાર્યવાહી કરી કેવા તથ્થો ઉજાગર કરે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








