નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેક આવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રમત રમતા કે પછી જીમમાં કસરત કરતાં યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક યુવાન હાર્ટ એટેકનો શિકાર બનતા મોતને ભેટ્યો છે. લગ્ન પ્રસંગમાં રાસ-ગરબા રમ્યા બાદ ઘરે પરત ફર્યો તે દરમિયાન યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ શહેરના માલવિયાનગર વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 36 વર્ષના અમિત ચૌહાણ નામના યુવકને ગત સોમવારે રાત્રીના સમયે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. જે દિવસે અમિતને હાર્ટ એટેક આવ્યો ત્યારે અમિત ફોઈના દિકરાના લગ્ન પ્રસંગના રાસ-ગરબાના કાર્યક્રમમાં ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે ઘરે પહોંચ્યો હતો.
અમિત ઘરે પહોંચ્યો તે દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો અમિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબએ અમીતને મૃત જાહેર કર્યો હતો. અમીતના મૃત્યુ મામલે માલવિયાનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમીત પીરવાડી ખાતે સોની કામની ડાય બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાથે જ અમિતને એક દિકરો હોવાનું પણ સામે આવ્યું છે. અમિતનું મૃત્યુ થતાં દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સાથે જ અમિતનું મૃત્યુ થતાં લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાયો હતો.








