નવજીવન ન્યૂઝ. મેઘરજઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઓઢા ગામે થોડા દિવસો અગાઉ ગામના એક આધેડની લાશ મળી આવતા પરિવારજનોએ આધેડની હત્યા કરમવામાં આવી હોવાનો આક્ષેપ સાથે ઇસરી પોલીસ સ્ટેશનમાં ગામના એક વ્યક્તી સામે આશંકા વ્યક્ત કરી હતી. ઇસરી પોલીસે આધેડનું પીએમ કરાવી જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે મૃતક આધેડના પરિવારજનોએ જે શખ્સ સામે આશંકા દર્શાવી હતી તેને તેના ખેતરમાં ઘઉં વાઢવા માટે ડરના માર્યા પોલીસ રક્ષણની માંગ કરતા પોલીસ પ્રોટેક્શન હેઠળ ઘઉં કાપવાની કામગીરી ચાલતી હતી, ત્યારે ગામલોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બને તે પહેલા ટીયરગેસ છોડી ટોળાને કાબુમાં લીધું હતું. પોલીસ પર પથ્થરમારો થતા DySP ભરત બસીયા સહીત જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

મેઘરજના ઓઢા ગામે એક આધેડની લાશ ગામ નજીકથી મળી આવતા મૃતકના પરિવારજનોએ કૌટુંબીક ભાઈએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો કૌટુંબિક ભાઈ અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો. આક્ષેપિતના ખેતરમાં ઘઉં કાઢવાના હોવાથી હુમલો થવાનો ભય પેદા થતા ઇસરી પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરતા ઇસરી પોલીસે રવિવારે ખેતરમાં પોલીસ પ્રોટેક્શન આપતા ખેડૂતે મજૂરો સાથે ઘઉં કાઢવાની શરૂઆત કરી હતી. ગામલોકોએ એકઠા થઇ અગમ્ય કારણોસર પોલીસ પર પથ્થરમારો કરતા ભારે તંગદિલી સર્જાતા પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના બે રાઉન્ડ છોડવાની ફરજ પડી હતી. ટોળાનો ઉશ્કેરાટ જોતા જિલ્લા પોલીસવડાને જાણ કરતા તાબડતોડ જિલ્લા ભરની પોલીસ ઓઢા ગામમાં ખડકી દેતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસે ગામના અગ્રણીઓ સાથે વાતચીત કરી શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવા અપીલ કરી હતી.
![]() |
![]() |
![]() |











