નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુક્રેન પર આક્રમણ બાદ રશિયાની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગી છે. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જેની અસર હવે દેખાઈ રહી છે. રશિયામાં હવે વિદેશી મુદ્રાની અછત ઉભી થવા લાગી છે. સેન્ટ્રલ બેંક ઓફ રશિયા (સીબીઆર) એ બુધવારે વિદેશી ચલણમાં રોકડ ઉપાડવા પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, સીબીઆરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકો 9 સપ્ટેમ્બર સુધી વિદેશી મુદ્રા ખાતાઓમાંથી માત્ર 10,000 ડોલર સુધી જ ઉપાડી શકશે.
રશિયાની સેન્ટ્રલ બેન્કે જણાવ્યું હતું કે જો ગ્રાહકો 10,000 ડોલરથી વધુનું ચલણ ઉપાડવા માગતા હોય તો બાકીના નાણાં રશિયન કરન્સી રૂબલમાં ઉપાડી શકાય છે. મહત્વનું છે કે, યુક્રેન પર હુમલા બાદ રશિયાની કરન્સી રૂબલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ઘટાડો થયો છે. સેન્ટ્રલ બેંક ઓફ રશિયાએ 9 માર્ચથી 9 સપ્ટેમ્બર, 2022 સુધી વિદેશી ચલણ જમા કરાવવા અથવા નાગરિકોના ખાતામાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયાની જાહેરાત કરી હતી.
રશિયાની કેન્દ્રીય બેંકે એવી પણ માહિતી આપી હતી કે કામચલાઉ પ્રતિબંધના સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા માત્ર ડોલરમાં જ જારી કરવામાં આવશે. રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, અન્ય ચલણો પાછા ખેંચવાના દિવસે તેને બજાર દરે ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું હતું કે નવા પ્રતિબંધોથી વિદેશી હૂંડિયામણ ખાતા ધરાવતા મોટાભાગના રશિયનોને અસર થવાની સંભાવના નથી કારણ કે મોટાભાગના લોકોના ખાતામાં 10,000 ડોલરથી વધુ નથી.
સેન્ટ્રલ બેંક ઓફ રશિયાએ કહ્યું કે, જ્યારે નવા નિયમો લાગુ થશે ત્યારે બેંકો નાગરિકોને વિદેશી રોકડ વેચશે નહીં. રશિયામાં ડોલરની લેવડ દેવડ પર પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે અસ્થાયી નિયમો બનાવવામાં આવ્યા છે.
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ અમેરિકા અને તેના યુરોપિયન સહયોગીઓએ રશિયાને સ્વિફ્ટ ફાઇનાન્સિયલ સિસ્ટમમાંથી હાંકી કાઢવા ઉપરાંત રશિયાને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક મોટી રશિયન બેન્કો અને ટોચના રશિયન અધિકારીઓને નિશાન બનાવીને પ્રતિબંધો લાદ્યા છે.
જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય કેટલાક દેશોએ પણ રશિયા સામે નાણાકીય અને મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. આ દેશો રશિયાની સંપત્તિઓને સ્થિર કરવા અને રશિયાના સૌથી પ્રભાવશાળી રાજકીય અને લશ્કરી અધિકારીઓ સામે મુસાફરીને પ્રતિબંધિત કરવા માટે નવા અને કડક પ્રતિબંધો પર પણ વિચાર કરી રહ્યા છે. આ પહેલા મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાથી તેલ આયાત કરવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી, જેનાથી રશિયા પર પ્રતિબંધ વધુ કડક કરી દેવામાં આવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












