નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં 4 લાખ લોકો જોડાવાની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 3.64 લાખ લોકો બેરોજગાર નોંધાયા છે. હાલમાં જ આવેલી ભરતીઓમાં કુલ 20 હજાર જેટલી જગ્યાઓ સામે 52 લાખથી વધુ અરજીઓ આવી છે. જ્યારે ચોંકાવનારો આંકડો તો એ છે કે આ બે વર્ષમાં માત્ર 1278ને જ સરકારી નોકરી મળી છે.
ગુજરાત વિધાનસભામાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પુછેલા એક સવાલના જવાબમાં સત્તાપક્ષ દ્વારા જાણકારી અપાઈ હતી કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 3,64,252 લોકો બેરોજગાર નોંધાયા છે. આ નોંધાયેલા પૈકીના 3,46,436 શિક્ષિત બેરોજગાર છે જ્યારે 17,816 અર્ધશિક્ષિત બેરોજગાર છે. આ સમયગાળા દરમિયાન 1278 લોકોને સરકારી નોકરી મળી છે. અહીં બીજી ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ગુજરાત સરકાર દ્વારા આ બે વર્ષના ગાળામાં મોરબી, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, કચ્છ, તાપી, વલસાડ, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, જૂનાગઢ, મહીસાગર અને ડાંગ એમ કુલ 16 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ્યારે ગુજરાતનો એક પરિવાર કેનેડામાં ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરતાં વખતે મૃત્યુ પામ્યો હતો ત્યારે ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં તકો ઓછી છે. જેને કારણે મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જાય છે. અહીં મહેનત કર્યા પછી પણ સ્થાન મળતું નથી. તેમના આવા આકરા શબ્દો ખુદ સરકારના જ નેતાઓને ખટક્યા હતા. જોકે જેતે સમયે સરકારે વાળી લીધું હતું પરંતુ હવે જ્યારે આ આંકડા સામે આવ્યા છે ત્યારે નીતિન પટેલની આ વાત ખરા અર્થમાં આંકડાકીય રીતે સાચી સાબીત થતી વિષ્લેશકો જોઈ રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












