Tuesday, May 19, 2026
HomeNationalસુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રખડતા કૂતરાઓ મામલે કડક વલણ યથાવત

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, રખડતા કૂતરાઓ મામલે કડક વલણ યથાવત

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં રખડતા કૂતરાઓના મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પાગલ, હડકવા પીડિત, લાઇલાજ બીમારીથી પીડાતા અથવા અત્યંત આક્રમક અને માનવજીવન માટે જોખમી બનેલા રખડતા કૂતરાઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં દયામૃત્યુ (Euthanasia) પણ કાયદાકીય રીતે માન્ય ઉપાય તરીકે અપનાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે સામાન્ય નાગરિકોની સુરક્ષા અને જાહેર આરોગ્ય સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોર્ટે કહ્યું કે જો કોઈ રખડતું કૂતરું માનવજીવન માટે સીધું જોખમ ઉભું કરે, રેબીઝથી સંક્રમિત હોય અથવા સારવારથી બહાર હોય, તો તેને ખુલ્લા વિસ્તારમાં પાછું છોડવું યોગ્ય નથી.

- Advertisement -

કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને Animal Birth Control (ABC) માળખું વધુ મજબૂત બનાવવાનો આદેશ આપ્યો છે. દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ABC સેન્ટર સ્થાપવાની સૂચના આપવામાં આવી છે, જ્યાં રખડતા કૂતરાઓની નસબંધી, રસીકરણ અને સારવારની સુવિધા ઉપલબ્ધ હોય.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે શાળા, કોલેજ, હોસ્પિટલ, કોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રમતગમતના મેદાનો અને અન્ય ભીડભાડવાળા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને દૂર કરવામાં આવે. આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

કોર્ટના આદેશ મુજબ નગરપાલિકા અને સ્થાનિક તંત્રએ રખડતા કૂતરાઓની નસબંધી અને વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી બનાવવું પડશે. સ્ટેરિલાઇઝેશન બાદ સામાન્ય કૂતરાઓને તેમની જગ્યાએ છોડવાની જોગવાઈ રહેશે, પરંતુ આક્રમક અથવા રેબીઝગ્રસ્ત કૂતરાઓને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવશે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ખવડાવવાના મુદ્દે પણ માર્ગદર્શિકા આપી છે. કોર્ટે જણાવ્યું કે રસ્તા, ગલીઓ અથવા જાહેર સ્થળોએ અનિયંત્રિત રીતે કૂતરાઓને ખોરાક આપવો યોગ્ય નથી. તેના બદલે દરેક નગરપાલિકા વોર્ડમાં નિયત Feeding Zone બનાવવાની વ્યવસ્થા કરવી પડશે.

આ ઉપરાંત, નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર પણ રખડતા પશુઓને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રખડતા કૂતરાઓના સુરક્ષિત ટ્રાન્સપોર્ટ, આશ્રયસ્થાનો અને પશુ કલ્યાણ સંસ્થાઓ મારફતે સંભાળની વ્યવસ્થા ઉભી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular