નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં પિતા અને તેમના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દટાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના દયાળ ગામના રહેવાસી કાળુ ઝાલૈયા મજૂરી કામ માટે ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની કામગીરીમાં જોડાયા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હાજર હતો.
જ્યારે કાળુભાઈ મકાન તોડવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમનો પુત્ર નજીકમાં રમતો હતો. એ દરમિયાન અચાનક મકાનની એક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી અને પિતા-પુત્ર બંને તેના નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, દીવાલના ભારે કાટમાળ નીચે દબાઈ જવાથી બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પિતા તથા માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે મકાન તોડવાની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નહોતી. કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી તકેદારી અને સલામતીના સાધનો વિના કામ કરાવવામાં આવતું હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પરિવારનું કહેવું છે.
હાલ પોલીસે પરિવારના આક્ષેપોને ધ્યાનમાં લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.








