નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં એટીએસ અને એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહી હજુ પણ ચાલુ છે. એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સી) દ્વારા ઝલીલ મુલ્લા નામના જે વ્યક્તિને અગાઉ પકડવામાં આવ્યો હતો તેને છોડી મુકાયા પછી હવે ફરી તેને પુછપરછ માટે બોલાવાયો છે.
ગુજરાત એટીએસ દ્વારા રવિવારે વહેલી સવારથી જ ગુજરાત સહીત છ રાજ્યોમાં આતંકી ગતિવિધિઓની તપાસને લઈ કાર્યવાહી કરવમાં આવી હતી. ગુજરાતમાં આ એજન્સીઓ દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં કેટલાક સ્થાનો પર કાર્યવાહી કરી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરતમાં લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના વ્યક્તિની એજન્સીઓએ પુછપરછ હાથ ધરી હતી. જલીલ ધોરણ દસ પાસ છે અને મદ્રેસામાં બાળકોને ઉર્દુ ભાષાનું જ્ઞાન આપે છે.
જલીલ સહિત ત્રણ વ્યક્તિ સામે એજન્સીઓએ પુછપરછ ચલાવી હતી. જલીલનું વર્ષ 2021માં કર્ણાટક કનેક્શન હોવા બાબતે પણ પુછપરછ કરવામાં આવી હતી. જલીલ યુપીમાં પણ એક વર્ષ પહેલા જમાતમાં ગયો હતો. જલીલ રિક્ષા ચલાવતો હતો અને કાપડની દલાલીનું કામ કરતો હતો. એજન્સીઓએ જલીલના રાંદેર ખાતે રહેતા મિત્ર ઉમરની પણ પછપરછ કરી હતી. એજન્સીઓ આ શખ્સો કોના સંપર્કોમાં છે તેની તપાસ કરશે, કારણ કે જલીલના આઈએસ કનેક્શનની શંકાઓ ઉપજી રહી છે. જોકે તેમાં કેટલું સત્ય છે તે એજન્સીઓની કાર્યવાહીમાં સામે આવશે.








