નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ કોંગ્રેસમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નયનાબા હાલ જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા, જેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને પોતાનું રાજીનામું આપી દીધું છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગર 78 વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના માટે તેમણે રાજીનામું આપ્યું છે અને પોતાને જામનગર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પદ પરથી ફરજ મુક્ત કરવા જણાવ્યુ છે.
નયનાબા જાડેજાએ પોતાના રાજીનામાં અંગે જણાવ્યુ હતું કે, “મારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. મને મહિલા પ્રમુખના હોદા પરથી ફરજ મુક્ત કરવાની માગ કરી છે. ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથી. માત્ર વિધાનસભાની તૈયારી કરવા માટે જ મેં ફરજમુ્કત થવા માટે રાજીનામું આપ્યું છે. અને મારી ઈચ્છા છે વિધાનસભા ચૂંટણી લડવાની એટલા માટે હું તૈયારી કરું છું. મારે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જગ્યાએ પહોંચાણ ન થાય એટલા માટે મેં પત્ર લખીને જણાવ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું ક, “મેં કહ્યું કે પ્રમુખ તરીકે જવાબદારી બીજા કોઈને સોપો તો હું મારી રીતે મારામાં ધ્યાન આપી શકું. પક્ષમાં બધા લોકો પોતાની વાત રજૂ કરી શકે અને દાવેદારી બધા કરી શકે એટલે મેં પણ કરી છે અને હું મહેનત તો પહેલેથી જ કરું છું એ બધાને ખ્યાલ છે. દાવેદારી કરવામાં તો બધાને અધિકાર હોય છે પાર્ટી જેને યોગ્ય લાગશે તેને ટિકિટ આપશે.”








