નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ કોરોનાને હવે સાવ હળવાસથી આપણા નેતાઓ અને આપણે બધા જ લેતા થઈ ગયા છીએ જેને પરિણામે હવે લગભગ કોઈ માસ્ક પહેરેલું, સોશિયલ ડિસ્ટન્સ નિભાવતું કે કોરોનાની અન્ય ગાઈડલાઈન્સ ફોલો કરતું જોવા મળે છે. આપણી જ બેદરકારીનું પરિણામ છે કે હાલમાં ગુજરાતમાં કોરોનાનો આંકડો ધીમી ગતિએ વધી રહ્યો છે. ગાંધીનગરના કેટલાક જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાની વિગતો સામે આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધડાધડ વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા માત્ર 24 કલાકમાં 665 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ પણ 3724 થઈ ગયા છે. જોકે સદભાગ્ય કે હજુ સુધી કોઈના જીવ ગયા નથી. છેલ્લા ઘણા દિવસોથી 400થી વધુ કેસ રોજીંદા નોંધાતા થયા છે જે ચિંતાજનક છે.
ગતરોજ ગાંધીનગરમાં કુલ કેસ 45 કોરોના પોઝિટિવ નોંધાયા હતા તેમાંથી 13 કેસ તો માત્ર આ યુવાનોના જ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિદ્યાર્થીઓ અમદાવાદમાં કોઈ પાર્ટી કરવા ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારી આંકડા પ્રમાણે કોરોનામાં કુલ 20948 લોકોના મૃત્યુ થયા છે. આ તકેદારી રાખવાનો સમય છે કે આપણે વધુ એક લહેરને આમંત્રણ ન આપી દઈએ.








