નવજીવન ન્યૂઝ, વડોદરા : અમદાવાદ સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓ હિંસક (Violent Students) બન્યાના અનેક સમાચારો ભૂતકાળમાં આવી ચૂક્યાં છે. નાની અમથી વાતોમાં વિદ્યાર્થીઓ હિંસક બની જતા હોવાની ઘટનાઓ વધવા લાગી છે. આવી જ એક ઘટના વડોદરા શહેર (Vadodara City) ના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બની છે. સરદાર વિનય મંદિર સ્કૂલ (Sardar Vinay Mandir School) માં શનિવારે પરિક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝગડા મારામારીમાં એક વિદ્યાર્થીને ચાકુ મારી દેવામાં આવતા દોડધામ મચી ગઈ હતી.
સરદાર વિનય મંદિર સ્કૂલના ધોરણ નવના વિદ્યાર્થીઓ પરિક્ષા આપીને બહાર નીકળી રહ્યાં હતાં તે સમયે ધક્કો વાગવા જેવી નાની બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. મારામારીની આ ઘટના સમયે શાળાનો અન્ય એક વિદ્યાર્થી છોડાવવા માટે વચ્ચે પડતા મારામારી કરી રહેલાં વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર મારી દીધું હતું. ઇજા થવાથી વિદ્યાર્થી જમીન પર ફસડાઈ પડ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, આ મામલે સમાધાન થઈ જતાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાની ટાળી છે.








