પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.વલસાડ): તા 27મી ઓગષ્ટના રોજ ગુજરાતની જાણિતી સિંગર વૈશાલી બલસારા પોતાના ઘરેથી પાછી નહીં ફરતા તેમના પરિવાર દ્વારા ગુમ થયાની ફરિયાદ વલસાડ પોલીસમાં નોંધાવવામાં આવી હતી તા 28મીના રોજ વૈશાલીનો મૃતદેહ દેહ તેમની જ કારમાંથી પારડી પાસેથી મળી આવ્યો હતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૈશાલીની હત્યા થઈ છે તેવું જાહેર થતાં વલસાડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલા અને ટીમે રાત દિવસ મહેનત કરી હત્યાનો ભેદ ઉકેલી વૈશાલી બલસારાની મિત્ર બબીતા શર્માની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. હાલમાં બબીતા ગર્ભવતી છે અને નવમો મહિનો પસાર કરી રહી છે. હત્યાનું કારણ બબીતાએ વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ પરત આપવા ના પડે તે માટે બબીતાએ ભાડુતી હત્યારો બોલાવી તેની હત્યા કરાવી નાખી હતી. વલસાડ પોલીસની ટીમ ભાડુતી હત્યારાઓને પકડવા રવાના થઈ ચુકી છે.
વલસાડમાં રહેતી જાણિતી સિંગર વૈશાલી બલસારા તા 27મીની સાંજે પોતાના ઘરેથી પોતાની બહેનપણીને મળી આવું છું તેવું જણાવી મોડી રાત સુધી પરત નહીં ફરતા વૈશાલીના પતિ હિતેશ બલસારાએ મોડી રાતે વૈશાલી ગુમ થયાની ફરિયાદ આપી હતી. બીજા દિવસે સવારે વૈશાલીની બલેનો કાર પારડી પાસે બીનવારસી પડી છે તેવી જાણકારી મળતા વલસાડ પોલીસ હિતેશને લઈ પારડી ગઈ હતી. જ્યાં કારની પાછળના લેગ સ્પેસ પાસે વૈશાલીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તુરંત મડતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમાર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં વૈશાલીનું મોતનું કારણ ગળુ દબાવી હત્યા કરવામાં આવ્યું હોવાનું ફલીત થયું હતું એટલે પોલીસે ખુનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી,
ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરી
સિંગર વૈશાલી બલસારાની હત્યાનો મામલો હાઈપ્રોફાઈલ હતો, એટલે વલસાડ પોલીસ તરત હરકતમાં આવી. ડીએસપી રાજદિપસિંહ ઝાલાએ સમગ્ર તપાસનું સુપરવિઝન પોતાની પાસે રાખી બારીક બારીક માહિતી એકત્ર કરવા પાંચ ટીમ બનાવી તેમને જુદા જુદા ટાસ્ક આપ્યા હતા. પહેલા તો વૈશાલી પોતાના ઘરેથી નીકળી અને ત્યાં લાશ મળી તે પારડી સુધીના તમામ સ્થળની સીસી ટીવી ફુટેઝ એકત્ર કરવામાં આવી હતી. એક વાત પહેલાથી સ્પષ્ટ હતી કે હત્યા કોઈ નજીકની વ્યકિતએ કરી છે, એટલે પરિવારના સભ્યો સહિત એક એક નજીકની વ્યકિતની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસે હિતેશ અને વૈશાલીના સંબંધો કયા પ્રકારના હતા તે દિશામાં પણ તપાસ કરી હતી. જોકે પોલીસને કોઈ ફળદાઈ માહિતી મળી ન્હોતી.
વલસાડના અયપ્પા મંદિર પાસે વૈશાલી સાથે એક સ્ત્રી ફુટેઝમાં નજરે પડી
પોલીસ વૈશાલી ઘરેથી નીકળી અને પારડી તેની કાર પહોંચી ત્યાં સુધી તમામ ફુટેઝ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી, જેમાં બે બાબત સુચક રીતે પોલીસ સામે આવી વૈશાલી ઘરેથી નીકળી પછી અયપ્પા મંદિર પાસે તેની કાર અચાનક બ્રેક મારે છે અને ત્યાં એક ગર્ભવતી સ્ત્રી નજરે પડે છે. આ સ્ત્રી વૈશાલીને એક થેલી આપે છે અને વૈશાલીની કારમાં બેસી જાય છે, પછી કાર સીસી ટીવીની રેંજમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ થોડીવાર પછી વૈશાલી સાથે કારમાં બેઠેલી સ્ત્રી એક અત્યંત ઝડપે એકલી ચાલતી દેખાય છે. આ સ્ત્રી કોણ હતી તે પહેલો પ્રશ્ન હતો, બીજા કેટલાંક ફુટેઝમાં વૈશાલીની કારમાં બે માણસો નજરે પડે છે પરંતુ કાચ ઉપર ફિલ્મ લાગી હોવાને કારણે તેમના ચહેરા સ્પષ્ટ થતાં નથી.
વૈશાલીને થેલી આપનારી ગર્ભવતી મહિલા કોણ હતી.
રાજદિપસિંહ ઝાલાએ વૈશાલી સાથે દેખાતી મહિલા કોણ છે તેની તપાસ કરવા પોતાની ટીમને કામે લગાડી તો વૈશાલીના પરિવાર તરફથી જાણકારી મળી તે આ મહિલા તો વૈશાલીની બહેનપણી બબીતા શર્મા છે જેની વલસાડમાં કાપડની દુકાન છે. ડીએસપી ઝાલા પોલીસ સેવામાં આવ્યા તેની પહેલા વ્યવસાઈક ડૉકટર હતા, એટલે તેમને મામલાની ગંભીરતા સમજાઈ. બબીતા ગર્ભવતી હોવાને કારણે તેને પોલીસ સ્ટેશન બોલવતા પહેલા મેડીકલ ઓફિસરને બોલાવી તેની હાજરીમાં બબીતાની પુછપરછ શરુ કરી તો બબીતાએ કબુલ્યું કે તા 27મીની સાંજે વલસાડના અયપ્પાના મંદિર પાસે તે વૈશાલીને મળી હતી પણ ત્યાંથી તે રવાના થઈ પછી શું થયું હું જાણતી નથી..
બબીતા શર્માએ પોલીસને કઈ સ્ટોરી કહી
દસ વર્ષની દીકરીની માતા બબીતા બીજી વખત ગર્ભવતી થઈ છે, નવમો મહિનો ચાલતો હોવાને કારણે ડીએસપીએ ડૉકટર અને બબીતાના પતિની હાજરીમાં પુછપરછ શરૂ કરી ત્યારે ત્યાં હાજર બબીતાના પતિને આધાત લાગે તેવી હકિકત બહાર આવી હતી. બબીતાએ પોલીસને જણાવ્યું કે તેના ધંધાના કામે તેને રૂપિયા 25 લાખની જરૂર હોવાને કારણે તેણે વૈશાલી પાસેથી 25 લાખ ઉધાર લીધા હતા તે પૈકી કેટલીક નાની રકમ તેણે પરત કરી હતી અને 27મી તારીખે તેની પાસે આઠ લાખની વ્યવસ્થા થતાં તેણે વૈશાલીને આઠ લાખ રૂપિયા લેવા માટે બોલાવી હતી, બબીતાના પતિને આશ્ચર્ય તે બાબતનું હતું કે બબીતાએ વૈશાલી પાસેથી 25 લાખ જેવી મોટી રકમ લીધી હતી પણ તે આ બાબતથી અજાણ હતો. એટલુ જ નહીં પોલીસે જયારે વૈશાલીના પતિ હિતેશને આ વ્યવહાર અંગે પુછ્યું ત્યારે તેનો પ્રશ્ન હતો કે વૈશાલી પાસે આટલી રકમ આવી કયાંથી? બબીતાનો દાવો હતો પૈસા આપ્યા પછી તે ત્યાંથી નીકળી ગઈ હતી.
બબીતાને પુછવામાં આવેલા પ્રશ્નો અને તેના જવાબ
વૈશાલી કાર લઈ પૈસા લેવા આવી હતી તે બબીતાના ઘરે અથવા દુકાને કેમ આવી નહીં તેના બદલે અયપ્પા મંદિર પાસે કેમ ભેગા થયા ? અને બબીતા કેવી રીતે અયપ્પા મંદિર સુધી આવી? તેવો પ્રશ્ન જયારે પોલીસે પુછયો ત્યારે બબીતાએ જવાબ આપ્યો કે દુકાન અને ઘરે મળવાને બદલે વૈશાલીએ જ અચપ્પા મંદિર પાસે મળવાનું કહ્યું એટલે તે મંદિર પાસે ઊભી હતી. તે નીકળી ત્યારે એકટીવા લઈ નીકળી હતી પરંતુ રસ્તામાં ખાડા ખુબ હોવાને કારણે એક કિલોમીટર દુર પાર્ક કરી ચાલતી આવી હતી કારણ તે ગર્ભવતી હોવાને કારણે તેને એકટીવા ચલાવવામાં તકલીફ પડી રહી હતી. પોલીસે જ્યારે પુછ્યું વૈશાલીને મળી ત્યારે કારમાં બીજુ કોઈ હતું ? ત્યારે બબીતાએ જણાવ્યું કે કારમાં બે માણસો હતા. તે પૈકી એકનો ચહેરો તેણે જોયો હતો.
સુરતથી સ્કેચ આર્ટીસ્ટ બોલાવ્યા અને બબીતાના વર્ણન પ્રમાણે સ્કેચ તૈયાર કર્યો
પોલીસે પણ ફુટેઝમાં જોયુ હતું કે કારમાં બે વ્યકિતઓ હતી અને બબીતા પણ કહી રહી હતી કે વૈશાલી સાથે બે માણસો હતા. એટલે પોલીસે સુરતથી એક સ્કેચ આર્ટીસ્ટ બોલાવી બબીતાને હાજર રાખી બબીતાએ આપેલા વર્ણન પ્રમાણે એક સ્કેચ તૈયાર કર્યો પરંતુ સ્કેચ પ્રમાણે એક પણ શંકાસ્પદ વ્યકિત પોલીસના રડારમાં આવી નહીં, પરંતુ કોઈ અગમ્યકારણસર બબીતા શંકાસ્પદ હોવાનું પોલીસને લાગી રહ્યું હતું. પોલીસ પાસે તે દિશામાં કોઈ પુરાવા ન્હોતા અને બબીતા ગર્ભવતી હોવાને કારણે તેની ઉપર માનસીક દબાણ વધારી શકાય તેમ પણ ન્હોતું.
બબીતા ઉપર શંકા કરવાનું શું કારણ હતું.
બબીતાનું કહેવુ હતું કે ખુદ વૈશાલીએ જ તેને અયપ્પા મંદિર આવવાનું કહ્યું હતું, એટલે ત્યાં તે હાજર હતી પરંતુ ફુટેઝમાં નજરે પડે છે વૈશાલીની કાર બબીતાની દુકાન તરફ જઈ રહી હતી અને મંદિર પાસે તે એકદમ બ્રેક મારી કાર રોકે છે. જો વૈશાલીને ખબર જ હતી કે મંદિર પાસે રોકાવવાનું છે તો તેની કાર ધીમેથી રોકાવાની જરૂર હતી પણ વૈશાલી જ્યાં ઊભી હતી ત્યાં એકદમ બ્રેક વાગે છે, પછી તે થેલી સાથે કારમાં બેસી જાય છે અને કાર સીસીટીવીની બહાર જતી રહે છે. પણ થોડીવાર પછી અત્યંત ઝડપે ચાલતી નજરે પડે છે. બબીતા ગર્ભવતી છે. તો આટલી ઝડપે ચાલવાનું કારણ શું હતું જાણે તે ઉતાવળમાં હોય તેવું સ્પષ્ટ થતું હતું પોલીસે બબીતાના ફોન અને તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યા તો તેના ફ્રેન્ડમાં ગુજરાત બહારના કેટલાક લોકો નજરે પડયા જેમના બંદુક સાથેના ફોટો હતા. પોલીસે આ માણસો કોણ છે જાણવા તેને ફરી પોલીસ સ્ટેશન બોલાવી હતી.
બબીતા સામે પોલીસે પત્તા ખોલ્યા અને કહ્યું તારા સાથીઓ પકડાઈ ગયા છે
બબીતાને પોતાના પતિ સાથે બોલાવી ફરી પુછપરછ શરુ કરી, પોલીસને બબીતા ઉપર જેટલી શંકા હતી તે બધા જ પ્રશ્ન ધીમા અવાજે પુછવાની શરૂઆત કરી તો બબીતા તેમના ઉત્તર સંતોષકારક રીતે આપી શકતી ન્હોતી. તે ડરી પણ ગઈ હતી કારણ તેના જવાબમાં કયાં કેવો વિરોધાભાષ છે તે બાબત પોલીસ તેને જણાવી રહી હતી. બબીતા ડરી ગઈ હતી જો કે પોતાના નિવેદને વળગી રહી હતી. બબીતાના સોશિયલ મીડિયાના ફ્રેન્ડમાં પોલીસને જે શંકાસ્પદ લાગતા હતા તેમના નામ આપી પોલીસે દાવ નાખ્યો કે તેઓ પકડાઈ ગયા છે અને તેમણે તારું નામ આપ્યું છે. ચોક્કસ નામ બબીતા સામે આવતા તે ભાંગી પડી અને પોલીસના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેણે કબુલી લીધુ કે તેણે ભાડુતી હત્યારા બોલાવી તેમની હત્યા કરાવી હતી.
બબીતાએ કેવી રીતે ઘડયો હત્યાનો પ્લાન અને કેવી રીતે થઈ હત્યા
બબીતાને ધંધાના કામે વૈશાલી 25 લાખ આપ્યા હતા પણ બબીતા તે રકમ પાછી આપી શકે તેમ ન્હોતી જેના કારણે વૈશાલીનું દબાણ વધી રહ્યું હતું, બબીતાને લાગ્યું કે હવે તે પૈસા પાછા આપી શકે તેમ નથી, આથી તેણે મર્ડર કરાવી નાખવાનું મન બનાવ્યું હતું. બબીતા મુળ મથુરાની વતની હોવાને કારણે તેના ફેસબુક ફ્રેન્ડ હતા તેવી વ્યકિતને તેણે પોતાની વ્યથા કરી અને કહ્યું કે એક ખુન કરવાનું છે, પરંતુ પેલા માણસે કહ્યું અમે આવું કામ કરીએ છીએ, પણ મફત કરતા નથી. પૈસા આપો તો કામ થઈ જશે. વૈશાલીની હત્યા માટે આઠ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
હત્યાના પહેલા ત્રણ વ્યકિતઓ વલસાડ આવે છે જેમાં બબીતા શર્મા જ પોતાની બહેનપણીની હત્યાનું પ્લાનીંગ કરે છે. હત્યા પછી લાશ અને કાર કયાં છોડવી તે નક્કી થાય છે અને બબીતા પારડી કાર છોડી દેવાની જગ્યા બતાડી આવે છે. તા 27મીના રોજ બબીતા જ ફોન કરી વૈશાલીને જાણ કરે છે કે આઠ લાખની વ્યવસ્થા થઈ છે તેે લેવા માટે બોલાવે છે. વૈશાલી જયારે તેની દુકાન ઉપર જઈ રહી હતી ત્યારે બબીતા અયપ્પા મંદિર પાસે જ તેને રોકે છે એક થેલી આપે છે અને કહે આ અડધી રકમ છે બાકીની રકમ તેના કઝીન પાસે છે જે નજીકમાં છે મંદિર પાસે એક ડાયમંડ ફેકટરી છે ત્યાંથી એક નાનો રસ્તો તળાવ પશું દવાખાના તરફ જાય છે ત્યાં કાર લઈ લેવાનું કહે છે.
બબીતા પણ કારમાં બેસી જાય છે અને નજીકમાં આવેલા પશુ દવાખાના તરફ જાય છે આ નિર્જન જગ્યા છે ત્યાર બબીતા અને વૈશાલી કારમાં પહોંચ્યે ત્યારે કુલ ત્રણ વ્યકિત ઊભી હતી. જેમાંથી બે વ્યકિત કારમાં ગોઠવાઈ જાય છે, ત્યારે વૈશાલીને પણ થોડી શંકા ગઈ પણ બબીતા પોતાના કઝીન હોવાનું જણાવે છે એટલે તે બહુ વિચાર કરતી નથી. કાર પાછી મુખ્યરસ્તા ઉપર આવે છે થોડીવાર ઊભી રહે છે તેમાંથી બબીતા ઉતરી જાય અને ત્રીજી વ્યકિત જે હતી તે પણ કારમાં બેસી જાય છે. બબીતાની કબુલાત પ્રમાણે તેણે બોલાવેલા ભાડુતી હત્યાએ તેને કારમાં વૈશાલીને બેભાન થવાની દવા સુંઘાડી દેતા તે તરત બેભાન થઈ ગઈ હતી અને બબીતા ત્યાંથી નીકળી જાય છે.
વૈશાલીની કારમાં રહેલા ત્રણે ભાડુતી હત્યારા બેભાન વૈશાનીને લઈ પારડી પહોંચે ત્યાં તેનું ગળુ દબાવી તેની હત્યા કરી લાશ કારમાં જ છોડી તેઓ બબીતાએ આપેલા આઠ લાખ રૂપિયા લઈ ગુજરાત છોડી નીકળી જાય છે. આમ બબીતાએ હત્યાના પ્લાન કબુલાત કરી લેતા પોલીસે તેની ધરપકડ કરી છે. ડીએસપી રાજદિપસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે બબીતાના નિવેદનના આધારે હત્યા કરવા આવેલા ભાડુતી હત્યારાની ઓળખ થઈ ગઈ વલસાડ પોલીસની બે ટીમે તેમને લેવા રવાના થઈ ચુકી છે આમ પૈસા માટે બહેનપણીએ પોતાની સખીની હત્યા કરાવી તેવો આ ગુજરાતનો પહેલો બનાવ છે.








