નવજીવન. વડોદરાઃ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદીર પરિસરમાં એક યુવકને થોડા દિવસ પહેલા સંતો અને અન્ય સ્ટાફ દ્વારા માર મારવાની ઘટના બની હતી. બાબત એવી છે કે આ ઘટના પછી પરિવાર ભયમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકાના પિતા દ્વારા પોતે હવે વડોદરામાં સુરક્ષીત નથી અને તેઓને હવે અજ્ઞાત સ્થળે જવાની ફરજ પડી હોવાનું કહેતો એક વીડિયો વાયરલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે આ ઘટના બની ત્યારે જે યુવકને મારવામાં આવ્યો હતો તે યુવકે મંદિરના કોઈપણ વ્યક્તિ કે સંતો સામે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા થોડા દિવસ પહેલા જે યુવકને માર મારવામાં આવ્યો હતો તેનું નામ હતું અનુજ વિરેન્દ્રસિંહ ચૌહાણ. આ યુવક છેલ્લા ઘણા સમયથી મંદિરમાં સેવાકાર્ય પણ કરતો હતો. જોકે જ્યારે આ ઘટના બની તે પછી સ્થળ પર પોલીસ દોડી આવી હતી પરંતુ અનુજે ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું મંદિરના સંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે આ મામલે વિરેન્દ્રસિંહ એટલે કે અનુજના પિતાનો એક વીડિયો સામે આવવા લાગ્યો છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, અમારો પરિવાર ભયમાં છે. તમામ પ્રકારની શક્તિઓ સમાધાન માટે મારી પાછળ પડી ગઈ છે. વડોદરામાં રહેવું સુરક્ષિત લાગતું નથી એટલે અમે અજ્ઞાત સ્થળે શિફ્ટ થયા છીએ. તેમણે એવું પણ કહ્યું કે, અનુજને માર્યા પછી મંદિરમાં જલેબી પેંડા વેચવામાં આવ્યા હતા. તેમણે સાધુ સમાજ અને સંતો પાસે અનુજને ન્યાય મળે તેવી માગ કરી છે.
જોકે જે તે સમયે પોલીસે 6 વ્યક્તિના નિવેદન નોંધ્યા હતા અને 4 સંતોની પુછપરછ કરી હતી. 17 સીસીટીવી તપાસ્યા પરંતુ તે કેમેરા પૈકીનો કોઈનો એંગલ એકાઉન્ટ ઓફીસ કે જ્યાં આ માથાકુટ થઈ હતી તે તરફ ન્હોતો. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીના નિધન પછી ગાદી માટેના વિવાદમાં પણ મંદિરમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. તે પછી કોરોનાની ગાઈડલાઈન્સ અને બીજી ઘણી બાબતોને લઈને આ મંદિર સતત વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે.
![]() |
![]() |
![]() |











