નવજીવન.વડોદરાઃ ઉચ્ચે હોદ્દા ઉપરથી જાહેરાતો કરી વચનો આપવામાં માહિર ભાજપાના હોદ્દેદારો શહેરને રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
શહેરના ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી પસાર થઇ રહેલા એક આધેડને ગાયે ભેટી મારતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. સી.સી. ટી.વી.માં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસે આધેડને ભેટીએ ચઢાવનાર ગાય માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં ગોરવા વિસ્તારમાં ગાયે એક વૃધ્ધને ભેટી મારતા થાપામાં ફેક્ચર થયું હતું. ઉચ્ચે હોદ્દા ઉપરથી જાહેરાતો કરી વચનો આપવામાં માહિર ભાજપાના હોદ્દેદારો શહેરને રસ્તા ઉપર રઝળતી ગાયોથી મુક્ત કરાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરના ચોખંડી નાની શાક માર્કેટ પાસે આવેલી જી.ઇ.બી.ની ઓફિસ પાસેથી એક આધેડ ચાલતા પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી દોડી આવેલી ગાયે આધેડને ભેટીએ ચઢાવતા દસ ફૂટ ફંગોળાઇ ગયા હતા. આધેડને ગાયે ભેટીએ ચઢાવતા જ સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. અને ગાયની ભેટીથી રસ્તા ઉપર ફંગોળાઇ જતાં ઇજા પામેલા આધેડને સલામત સ્થળે ખસેડ્યા હતા.
શહેરમાં ઉપરા-છાપરી ગાયો દ્વારા હુમલાના વધી રહેલા કિસ્સાઓમાં શુક્રવારે વધુ એક બનાવ બનતા શહેરીજનોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ગાયોથી લોકોને બચાવવા માટે સત્તાધારીઓ દ્વારા નિષ્ફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિવિધ કામો માટે નીકળતા લોકોએ હવે ગાયોથી બચવા માટે જાતે જ કાળજી રાખવી પડશે તે સાબિત થઇ ગયું છે. છેલ્લા 48 કલાકમાં ગાયે ભેટી મારવાની બનેલી બીજી ઘટનાને પગલે લોકોમાં તંત્ર સામે અને રસ્તે રઝળતી મુકી દેતા ગૌપાલકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
શુક્રવારે ચોખંડી વિસ્તારમાં જી.ઇ.બી.ની ઓફિસ પાસે બનેલા બનાવના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે પોલીસે પણ સી.સી. ટી.વી. ફૂટેજના આધારે ગાયને રસ્તા ઉપર છોડી મુકનાર ગાયના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ગોરવા પોલીસે ગોરવા વિસ્તારમાં ગાયે ભેટી મારવાની બનેલી ઘટના બાદ 12 ગાયો પકડતા ગૌપાલકોએ પોલીસ સામે બાયો ચઢાવી હતી અને તે બાદ શહેર ભાજપા કાર્યાલય ખાતે ગૌપાલકો પહોંચીને ગૌપાલકોની મદદ કરવાની રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે, વડોદરામાં રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ પાલિકાએ શરૂ કરી છે અને કેટલાક કિસ્સાઓમાં ઢોર માલિકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતું ગમે તેટલી કડકાઈ દાખવવામાં આવી રહી હોવા છતાં ગૌપાલકો દ્વારા ગાયોને રસ્તે રઝળતી મુકવામાં કોઇ ઓટ આવી નથી. આજે પણ શહેરના વાડી, વાઘોડિયા રોડ, ગોરવા, ગાજરાવાડી, ચોખંડી, ખોડીયાર નગર રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગાયોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે અને શહેરીજનો માટે જોખમ ઉભું કરી રહ્યા છે.
શહેરમાં ગાયો દ્વારા હુમલાના કિસ્સાઓ રોજ બની રહ્યા છે. પરંતુ, પંદર દિવસમાં શહેરના માર્ગોને રખડતી ગાયોથી મુક્ત કરવાની જાહેરાત કરનાર મેયર સહિત પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઠોસ કામગીરી કરવામાં ન આવતા શહેરીજનોનો વિશ્વાસ ઉચ્ચ હોદ્દા ઉપરથી જાહેરાતો કરી રહેલા રાજકારણીઓ ઉપરથી હવે ઉઠી ગયો છે.
વડોદરાઃ CCTV આધેડને ગાયે ફંગોળી નાખ્યા, 24 કલાકમાં બીજી ઘટના, કોર્પોરેશન માયકાંગલું જાતે જ રાખવી પડશે તકેદારી#Vadodara #CCTV #VMC pic.twitter.com/WZDiukZElN
— Navajivan (@Navajivan1) January 1, 2022








