- ઘઉંના મૂળભૂત ભાવ ઘટે તેના કરતા, જહાજી નુર કેટલા ઘટશે તેના પર ભાવનું નિર્ધારણ થશે
- ૧ જુને ભારતમાં ઘઉંનો પુરાંત સ્ટોક ૨૦૨૧ પછીનો સૌથી વધુ ૫૩૪.૧ લાખ ટન હતો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકા ઈરાન વચ્ચે ગુરુવારે થયેલા પ્રાથમિક સ્તરના સમજુતી કરાર (એમઓયુ)ને પગલે હોર્મુઝ સામુદ્રધુની ખુલવાનો માર્ગ મોકળો બનશે એવા આશાવાદ વચ્ચે જાગતિક અનાજ બજારે માર્યાદિત પ્રતિભાવ આપ્યો હતો. ટ્રેડરોએ કહ્યું કે ઘઉંના મૂળભૂત ભાવ ઘટે તેના કરતા, જહાજી નુર કેટલા ઘટશે તેના પર ભાવનું નિર્ધારણ થશે. આખા વિશ્વના ઘઉં ટ્રેડરો માને છે કે ભારત, કાળા સમુદ્રના દેશો, ઓસ્ટ્રેલીયા અને ઉત્તર અમેરિકાનાં ઘઉંના ભાવનું નિર્ધારણ તો હવામાન, પાકની લણણી, કરન્સી મૂલ્યમાં આવતા બદલાવ અને માંગને આધારે થશે. તમે જુઓ શાંતિમંત્રણાના અહેવાલ પછી તો જહાજીનુર અને નિકાસકાર દેશમાં ઘઉંના ભાવ વધી આવ્યા છે. કારણ કે ખાતર અને ઉર્જાની સપ્લાયની ચિંતા તત્કાળ ઓછી નથી થઇ જવાની. સોમવારે એક તબક્કે સીબીઓટી ઘઉં જુલાઈ વાયદો નીચામાં ૬.૧૦ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયા પછી ઇન્ટ્રાડેમાં ૬.૧૮ ડોલર થયો હતો.
મહત્વના આયાતકાર દેશોમાંથી માંગ નબળી પડી ગઈ છે, ઉત્પાદક દેશોમાં પુરાંત સ્ટોક સારો એવો પડ્યો છે, અને નવા પાકનો આશાવાદ હકારાત્મક હોવાથી ખેડૂતો હાલમાં નીચા ભાવની ઓફરો કરી રહ્યા છે. પ્લાત્સ બેન્ચમાર્ક ઘઉં મીલીંગ વ્હાઈટનાં ભાવ ગુરુવારે ૨૩૮ ડોલર પ્રતિ ટન મુકાયા હતા, જે જુનનાં આરંભે ૨૪૨.૨૫ ડોલર હતા. જો બધા ફંડામેન્ટલ્સ સામુહિક રીતે નબળા પડે, જેવા કે ક્રુડ ઓઈલ અને વ્યાપક કોમોડીટી બજારોમાં મંદી સર્જાય તો તેની અસર ઘઉંના ભાવ પર પડશે. બજાર અત્યારે એ જોવામાં વ્યસ્ત છે કે સસ્તા દરિયાઈનુરનું પ્રતિબિંબ, યુદ્ધ જોખમનું પ્રીમીયમ અને નબળા ક્રુડ ઓઇલના ભાવ આ બધી બાબતો ઘઉંના પરિવહન પરનું દબાણ ઘટાડશે. કાળાસમુદ્રના દેશના ટ્રેડરો માને છે કે શાંતિ મંત્રણાની ઘઉંના ભાવ પર ટૂંકાગાળામાં ખાસ કોઈ અસર નહિ પડે. બજારનું ધ્યાન હવે આગામી નવા પાકની લણણી, જે જુલાઈના આરંભે શરુ થશે તેના પર રહેશે.
૮૦ ટકા રશિયન ટ્રેડરો માને છે કે દક્ષિણ રશિયામાં ભારે વરસાદને લીધે કદાચ લણણીની શરૂઆત જુલાઈ મધ્ય સુધી ઢીલમાં પાડે, તેવી શક્યતા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. આ સ્થિતિમાં જહાજોમાં માલ ચઢાવવાની મજુરી પ્રક્રિયાનાં ભાવને ઉંચે જઈ શકે છે. એમઓયુ (સમજુતીના કરાર) પર સહીસિક્કા થઇ જતા, શિકાગો અનાજ વાયદા બજારમાં પ્રાથમિક જોખમનું પ્રીમીયમ ઘટ્યું જોવા મળે છે. ફંડોએ તેમના ઘઉંના તેજીના ઓળિયા ઘટાડીને મંદીના વધારવાનું શરુ કર્યું છે. આનો અર્થ એ થાય કે હવામાન સારું છે ઉભાપાકની તંદુરસ્તી સારી છે, તેથી આંતરપ્રવાહ મંદીનો ઝોક ધરાવે છે.
ભારત સરકારે વર્તમાન મોસમ માટે લાઘુત્ત્મ ટેકાના ભાવથી ઘઉં પ્રાપ્તિ લક્ષ્યાંક, અગાઉના ૩૦૦ લાખ ટનથી ૧૫ ટકા વધારીને ૩૪૫ લાખ ટન કર્યો છે. સરેરાશ હવામાન સમસ્યાને પગલે સરેરાશ ઉત્પાદન ઘટ્યું છે, તેમને સહાય કરવાના આશયથી પ્રાપ્તિ લક્ષ્યાંક વધારાયો છે. વધેલી ઘઉં પ્રાપ્તિ થકી નવી મોસમના ખુલતા સ્ટોકમાં ૨૨૦ લાખ ટનનો ઉમેરો થતા કુલ ઉપલબ્ધી, પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટીએ ૫૬૫ લાખ ટને પહોચશે. ૧ જુને ભારતમાં ઘઉંનો પુરાંત સ્ટોક, અગાઉની સરકારી ધારણા ૨૭૬ લાખ ટન કરતા ૨૦૨૧ પછીનો સૌથી વધુ ૫૩૪.૧ લાખ ટન હતો. ભારતના મહત્વના ઘઉં ઉત્પાદક રાજ્યોમાં હવામાનને કારણે પાકમાં પોલ રહેશે, એવી ધારણાએ સરકારે ૨૦૨૫/૨૬ના ઘઉં પાકનો અંદાજ ૧૧૦૦થી ૧૨૦૦ લાખ ટન અંદાજ્યો છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








