નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ધોલેરા તાલુકાના આંબળીના તલાટી કમ મંત્રી લાંચ લેવા પણ ઘણી અલગ જ તરકીબ વાપરતા હોય તેવું સામે આવ્યું છે. હાલમાં જ તેમણે એક વ્યક્તિ પાસેથી રૂપિયા 25 હજાર આકારણી કરવાના માગ્યા જેમાંથી 20 હજાર ભાવતાલે નક્કી થયું અને પછી જ્યારે રૂપિયા લેવાના હતા ત્યારે તે વ્યક્તિને કહ્યું કે રૂપિયા મારી કારના ખાનામાં મુકી દો. જોકે આવા લાંચિયાઓનું લાંબો સમય ચાલે પણ નહીં, એસીબીનું છટકું ન સમજી શકેલા તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે અત્યાર સુધી આપે સાંભળ્યું હશે કે લાંચિયા બાબુએ પાનના ગલ્લે, કોઈ અન્ય ખાનગી વ્યક્તિના હાથે, ડ્રોઅરના ખાનામાં વગેરે વિવિધ તરકીબોથી લાંચ લીધી હોય પણ આ લાંચિયા બાબુની અલગ જ તરકીબ જોવા મળી હતી.
બાબત એવી છે કે એક વ્યક્તિને વાડાની આકારણી કરવવાની હતી, જે મળ્યા અમદાવાદના ધોલેરા તાલુકાના આંબળી વર્ગ ત્રણના તલાટી કમ મંત્રી મેહુલ વિષ્ણુભારતી ગોસ્વામીને. જોકે ગોસ્વામીએ રૂપિયા 25000 આ કામ કરી આપવાના માગ્યા, 25000 તો વધારે કહેવાય તેમ કહી આ વ્યક્તિ તેમની સાથે ભાવતાલ કરવા લાગ્યો. આખરે ભાવ નક્કી થયો 20000 અને જે તે સમયે ગોસ્વામીએ રૂપિયા 3000 તો લઈ જ લીધા.
આ બધું થયા પછી આ વ્યક્તિને લાગ્યું કે આટલી મોટી રકમની લાંચ આપવી યોગ્ય નથી, આપીવી નથી. જેથી તેમણે સંપર્ક કર્યો એસીબી (લાંચ રૂશવત વિરોધી બ્યૂરો)નો. ફરિયાદ સામે આવતા એસીબી હરકતમાં આવી અને મદદનીશ નિયામક કે બી ચુડાસમાના સુપરવિઝન હેઠળ ટ્રેપિંગ અધિકારી પીઆઈ એસ એન બારોટ કામે લાગ્યા. તેમની સાથે તેમની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ અને પછી છટકું ગોઠવવામાં આવ્યું. જેમાં એક પંચની હાજરીમાં આ વ્યક્તિ સાથે મેહુલ ગોસ્વામી સાથે આ મામલે વાતચિત કરી જેમાં ફરિયાદ મુજબના હેતુ મામલે વાત કરી, અને પછી કહ્યું કે લાંચની રકમ મારી ગાડીના ખાનામાં કહ્યું. મતલબ કે બાકી રહેતા 17000 ગાડીમાં મુકવાના હતા. મેહુલના કહ્યા પ્રમાણે આ વ્યક્તિએ લાંચ તેની ગાડીમાં મુકી અને તરત થઈ એસીબીની એન્ટ્રી અને મેહુલ ગોસ્વામીના બધા વટાણાં વેરાઈ ગયા. એસીબીએ મેહુલ ગોસ્વામીને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગળની કાર્યવાહી કોર્ટ સમક્ષ થવાની છે.
![]() |
![]() |
![]() |











