નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાની કપૂરાઈ ચોકડી પાસેથી ગત 30મી એપ્રિલે કોઈ ટેમ્પોમાં બેસી સ્વામી હરિહરાનંદ બાપુ નાસિક પહોંચી ગયા હતા, તેમને તેમના જ સેવકો આજે શોધી લાવ્યા હતા અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂર્ણ થયા પછી તેમને જુનાગઢ ખાતે લઈ જવામાં આવ્યા છે. જુનાગઢના ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેન્દ્ર પ્રજાપતિએ મીડિયા સામે આવતા કહ્યું કે હરિહરાનંદ બાપુને હવે અમે જુનાગઢ લઈ જઈ રહ્યા છે, તેમની તબીયત સારી છે અને તેઓ ત્યાં ભારતી આશ્રમમાં રહેશે. જરૂર જણાશે તો તેમની સારવાર અમે હોસ્પિટલમાં કરાવીશું, બાપુએ જોકે આ દરમિયાન મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને શોધવાની મળેલી અરજી પર તપાસ શરૂ કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, હરિહરાનંદ બાપુને તેમના જ સેવકોએ નાસિકથી શોધી લીધા છે. તેઓ આશ્રમના વિવાદને કારણે દુઃખી હોવાથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા. આશ્રમની જમીન મામલે જે વિવાદ હતો તેની તપાસ જુનાગઢ અથવા સરખેજ અમદાવાદથી થશે. વડોદરામાં ફક્ત તેઓ ગુમ થયા તે સમગ્ર મામલાની તપાસ થઈ છે. તેઓ વડોદરાથી ટેમ્પોમાં બેસીને નાસિક ગયા હતા. જોકે તેમના પર કોઈ રાજકીય દબાણ હોવાની વાત તેમણે કરી નથી, પણ જમીન વિવાદને કારણે તેમને માનસિક દબાણ હતું જેના કારણે તેઓ આશ્રમ છોડીને ગયા હોવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપૂરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વડોદરાના વાડી પોલીસ મથકમાં આપવામાં આવી હતી. જે પછી કપૂરાઈ ચોકડી પાસેના એક સીસીટીવી કેમેરામાં તેઓ ચાલતા જતાં જોવા મળ્યા હતા. પોલીસે 5 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. તેમની માહિતી આપનારને ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |











