નવજીવન ન્યૂઝ, સુરત : 4.71 લાખ રૂપિયાનો ચેક રિર્ટન જવાના કેસમાં સુરત જિલ્લા અદાલતે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો (Surat Sessions Court upholds trial court order in cheque return case) છે. ભાવનગરના શખસે નીચલી અદાલતે ફટકારેલી 1 વર્ષની કેદ અને વળતર ચૂકવવાના આદેશ સામે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
સુરતના પાલ અડાજણ વિસ્તારમાં રહેતા અને અખિલ નટરાજ ટ્રાવેલ્સના માલિક રાધેશ્યામ દિનેશચંદ્ર ત્રિવેદીની ઓફિસમાં ભાવનગરના મહુવા તાલુકા (Bhavnagar Mahuva) ના મોણપર ગામનો હિરેન યોગેશભાઈ મહેતા ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો. વર્ષ 2019માં હિરેને બુકિંગ કલેક્શનની 4.71 લાખની રકમ અંગત કામમાં વાપરી નાખી હતી. જે પેટે હિરેને રાધેશ્યામ ત્રિવેદીને ચેક આપ્યો હતો. આરોપી હિરેન મહેતાએ આપેલો 4.71 લાખનો ચેક બેંકમાંથી અપૂરતા બેંક બેલેન્સના કારણે રિટર્ન થયો હતો. આથી ફરિયાદી રાધેશ્યામભાઈએ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2024માં ટ્રાયલ કોર્ટે આ મામલે સુનાવણી બાદ આરોપીને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેની સામે આરોપીએ સુરતની જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. ફરિયાદી પક્ષના વકીલે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું કે આરોપી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જિલ્લા અદાલતે આરોપીની અપીલ ફગાવી દેતા તેના જામીન રદ કરી ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો છે કે, આરોપીની ધરપકડ કરી સજા ભોગવવા માટે જેલ મોકલવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે.








