નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં આજે દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. શહેરના ભટાર વિસ્તારમાં બીજા માળેથી લિફ્ટ તૂટી હતી. આ બનાવમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તમાંથી કેટલાક લોકોની કમર તૂટી ગઈ છે, તો કેટલાકના પગ ફેક્ચર થયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં આવેલી શાંતિવન મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં આજે લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. અચાનક બીજા માળેથી લિફ્ટ તૂટી જતાં લિફ્ટમાં હાજર લોકો નીચે પટકાયા હતા. આ દુર્ધટનામાં એક કામદારનું મોત નિપજ્યું છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પૈકી કેટલાકની કમર તૂટી હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સુરતની શાંતિવન મિલની પાછળ ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો લિફ્ટમાં સવારે નીચે ઉતરી રહ્યા હતા તે દરમિયાન લિફ્ટ તૂટી હતી.
લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર લિફ્ટ નીચે પટકાઈ હતી. લિફ્ટ તૂટવાના બનાવમાં ઉમાકાન્ત છોટેલાલ કનોજીયા નામના કામદારનું મોત થયું છે. જ્યારે સંદીપ મુનિલાલ કનોજીયા (ઉ.વ 24), કનૈયા સુરેશ પારિક (ઉ.વ 24), રાજ શત્રુઘ્ન ઝા (ઉ.વ 32), અજય છોટેલાલ ભાન (ઉ.વ 25), રાજકુમાર સરોજ ( ઉ.વ 20), શ્યામ બચીલાલ સરોજ (ઉ.વ 28 ), સતેન્દ્ર રામ તિવારી ( ઉ.વ 29 ) ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં પણ લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. જેમાં સાત શ્રમિકોના મોત નિપજ્યા હતા. રાજ્યમાં વારંવાર લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી રહી છે. ક્યાં સુધી આવી ઘટનાઓમાં લોકો જીવ ગુમાવતા રહેશે, આ પ્રકારની ઘટના અંગે કોન્ટ્રાક્ટર કે મનપાની કોઇ જવાબદારી જ નથી?








