નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં ઇબોલા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઇબોલા સામે લડવા માટે જરૂરી આરોગ્ય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. યુગાન્ડા સહિત ત્રણ દેશોમાંથી અમદાવાદ પહોંચતા યાત્રીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કોંગોથી ભારત આવેલા એક યુવાનને વડોદરામાં બિમારીના લક્ષણો દેખાતા સારવાર હેઠળ રખાયો છે પરંતુ આ વ્યક્તિ અહીં ભારતમાં છેલ્લા દસ દિવસથી છે અને તે ઘણા વિસ્તારોમાં ફર્યો છે. ટ્રાવેલીંગ કર્યું છે, સ્ટે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હાલમાં કુલ 11 યાત્રીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમાં નવ ભારતીય નાગરિકો અને બે યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે આ તમામ યાત્રીઓમાં હજુ સુધી ઇબોલા વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ 11 યાત્રીઓમાંથી એક યાત્રી જોધપુર વોર્ડ વિસ્તારનો છે, જ્યારે બાકીના દસ યાત્રીઓ થલતેજ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં જે એક કેસ નોંધાયો તે 37 વર્ષિય વ્યક્તિનો મુસાફરીનો રેકોર્ડ જોવા જઈએ તો આ વ્યક્તિ 10 દિવસ પહેલા મુંબઈ ખાતે કોંગોથી આવ્યો હતો. મુંબઈમાં આ વ્યક્તિ 5 દિવસ રોકાયો. જે પછી તે 4 દિવસ સેલવાસા અને દમણના વિસ્તારોમાં રોકાયો હતો. જે પછી તે 22મી મેએ વડોદરા આવ્યો હતો. તેની તબીયત બગડતા તેને 26મી તારીખે દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેને છ દિવસથી તાવ હતો બીમાર હતો.
એરપોર્ટ પર ત્રણ દેશોમાંથી આવતા દરેક યાત્રીઓનું સઘન મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ યાત્રીમાં ઇબોલા જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત એસવીપી હોસ્પિટલમાં પણ વિશેષ ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તરત કાર્યવાહી કરી શકાય.
ઇબોલા વાયરસને લઈને આરોગ્ય તંત્ર માત્ર યાત્રીઓની દેખરેખ સુધી મર્યાદિત નથી, પરંતુ સંભવિત સંક્રમણને રોકવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ તંત્ર હાલ સંભવિત ખતરા સામે સંપૂર્ણ સતર્ક અને સજ્જ હોવાનું દર્શાવી રહ્યું છે.
ઇબોલા ચેપની શરૂઆતમાં સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળી શકે છે. તેમાં સતત તાવ આવવો, શરીરમાં ભારે નબળાઈ અનુભવવી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને ગળામાં દુખાવાની ફરિયાદ સામેલ છે. શરૂઆતના તબક્કામાં આ લક્ષણો સામાન્ય લાગતા હોવાથી ઘણીવાર લોકો તેને ગંભીરતાથી લેતા નથી.
જો સમયસર સારવાર ન મળે તો ઇબોલાનો ચેપ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારબાદ દર્દીમાં ઉલટી, ઝાડા, આંતરિક અથવા બાહ્ય રક્તસ્ત્રાવ, શોક અને બહુવિધ અંગો નિષ્ફળ થવા જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ગંભીર કેસોમાં દર્દીની સ્થિતિ ઝડપથી બગડી શકે છે.
ચેપથી બચવા માટે આરોગ્ય નિષ્ણાતો દ્વારા સ્વચ્છતા જાળવવા, શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિના સંપર્કથી દૂર રહેવા અને કોઈપણ લક્ષણ જણાય તો તરત તબીબી સલાહ લેવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ માટે પણ ચેપ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.








