નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં વ્યાજખોરીનું દુષણ પોલીસ ચોપડે નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં જ પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં વ્યાજ ખોરો સામે 14 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગૌતમ પટેલ વિરૂધ્ધ પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. ગૌતમ પટેલ વિરૂધ્ધ વ્યાજ ખોરી અને પઠાણી ઉઘરાણીનો ગુનો નોંધાતા હાલ તેઓ પોલીસથી દૂર ભાગી રહ્યા છે. જેના કારણે પોલીસે હવે આરોપી ગૌતમ પટેલને વૉન્ટેડ જાહેર કરી દીધો છે. મહત્વની વાત છે કે, ગૌતમ પટેલ પર રૂપિયા 2 લાખ વ્યાજે આપી 4 લાખની વસુલાત કરવામાં આવી તેમજ 12 લાખના પ્લોટની ફાઈલ પણ કબ્જે કરી લેવામાં આવી હોવાનો આરોપ છે. ઉપરાંત ગૌતમ પટેલના પત્ની પણ AAPના મહિલા શહેર પ્રમુખ હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ AAPના સુરતના નેતા ગૌતમ પટેલ વિરૂધ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને બળજબરીપૂર્વક ઉઘરાણીના આરોપ સાથે ગુનો નોંધાયો હતો. આ ગુનાની નોંધ થતા પોલીસે ગૌતમ પટેલની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ગૌતમ પટેલ પર આરોપ છે કે, તેમણે રૂપિયા 2 લાખ આપી 4 લાખ ઉઘરાણી કરી અને કિંમતી પ્લોટની ફાઈલ પણ કબ્જે કરી લીધી છે. આ ગુનામાં પોલીસ સમક્ષ રજૂ નહીં થતા ગૌતમ પટેલ ફરાર થઈ ગયો હતા. જેના કારણે હવે પોલીસે ગૌતમ પટેલને વૉન્ટેડ આરોપી તરીકે જાહેર કરવો પડ્યો છે. ગૌતમ પટેલને વૉન્ટેડ જાહેર કરતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં વ્યાજખોરીનો ત્રાસ ખુબ લધી રહ્યો છે. જેના કારણે પોલીસે પણ સક્રિય થઈ લોકોને ફરિયાદ કરવા માટે અપીલ કરવી પડી છે. સાથે પોલીસે કામગીરી કરી વ્યાજખોરો વિરૂધ્ધ કાયદાનો દંડો ઉગામ્યો છે, સાથે જ 12 જેટલા આરોપીઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ત્રણ ગણા કરતા વધારે રૂપિયા વ્યાજ ઉઘરાવતા હોવાની પણ વાત સામે આવી હતી. પોલીસે લોકોને અપીલ કરી હતી કે, બેંક પાસેથી લોન લેવી પણ વ્યાજખોરો પાસેથી પૈસાનું ધીરાણ લેવું ન જોઈએ. સાથે જ પોલીસે કહ્યું હતું કે, બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરતા વ્યાજખોરોને છોડવામાં નહીં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








