નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં પરિક્ષાના પેપર ફૂટવા એ હવે સામાન્ય બાબત હોય તેવું લાગી રહ્યું છે, એક પછી એક અલગ અલગ પરીક્ષાઓમાં પેપર ફૂટવાના સમાચાર સામે આવતા જ રહે છે. આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં BCOMના સેમેસ્ટર 6નું એક પેપર ફૂટયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના પગલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરિક્ષાના એક કલાક પહેલા જ પેપર ફૂટી ગયું હોવાનો એક સેનેટ સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ અંગે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખીને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવાઈ હતી જો કે આ નિર્ણયથી મહેનત કરવા વાળા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વારંવાર આવી રીતે પેપર ફૂટવાના કારણે પરીક્ષાઓ રદ થાય છે જેની સીધી અસર વિદ્યાર્થીઓ ઉપર પડે છે અને તેમને હેરાનગતી થાય છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક સેનેટ સભ્ય ભાવેશ રબારીએ આ અંગે જણાવ્યુ હતું કે, “યુનિવર્સિટીના BCOM સેમેસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર એક દિવસ પહેલા જ ફૂટી ગયું હતું. એક ખાનગી ટ્યુશન ક્લાસ માંથી આ પેપર ફૂટયું હતું. અમે આ અંગે યુનિવર્સિટીનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આવી રીતે અવાર નવાર પેપર ફૂટે છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, આ અંગે શાસકો કોઈ યોગ્ય નિર્ણય કેમ નથી કરતાં?”
પેપર ફૂટયા બાદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, “પેપર લીક એક કલાક પહેલા જ ધ્યાનમાં આવ્યું હોવાની અમારી સ્ક્વોડને માહિતી મળી હતી. અમારા સુધી જે રજૂઆત આવી તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલમાં તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવશે. આ મુદ્દે એક્ઝામ સુપરિટેન્ડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











