પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. તા. 8મી માર્ચથી શરૂ થયેલી સમીક્ષા 11મીએ પુર્ણ થશે અને અમદાવાદના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંઘ દ્વારા પોતાનો સમીક્ષા અહેવાલ સુપ્રત કરવામાં આવશે. રાજકીય વિષ્લેશકોના મતે ગુજરાતની વર્તમાન સ્થિતિ અને ઉત્તર પ્રદેશના પરિણામો પછી ગુજરાત વિધાનસભાની નિયત સમયે ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી મે મહિનામાં નિર્ધારિત સમય કરતાં છ મહિના વહેલી થાય તેવી સંભાવના છે.
આરએસએસ દ્વારા શરુ કરવામાં આવેલી સમીક્ષામાં વર્તમાન ધારાસભ્યોની કામગીરી, લોકોનો સરકાર પ્રત્યેનો અભિગમ અને 182 બેઠક પર કોણ ઉમેદવાર થઈ શકે વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષાના અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદ મુલાકાત દરમિયાન સુપ્રત કરવામાં આવશે. ગુજરાતના આખા મંત્રી મંડળની એક ઝાટકે બદલી કરી નરેન્દ્ર મોદીએ જે રાજકીય આંચકો આપ્યો હતો, તેવા જ બીજા રાજકીય આંચકાની સંભાવના જોવામાં આવી રહી છે.
વિજય રુપાણીની સરકારને હટાવી સાવ નવા ચહેરાઓને સરકારનું સુકાન સોંપવામાં આવ્યું, હાલમાં રહેલી ભુપેન્દ્ર પટેલની સરકારની ભૂમિકાની સમીક્ષા કરીએ તો વર્તમાન સરકાર નાઈટ વોચમેનની ભૂમિકામાં જ ચાલી રહી છે. આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી નવી સરકારના ગઠન માટે ફરી જનમત લેવા મેદાનમાં આવે તેવી સંભાવના છે. અમદાવાદમાં જે રીતે કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે તે જોતા ભાજપે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ છે.
![]() |
![]() |
![]() |











