Sunday, September 13, 2026
HomeGujaratRajkotગુજરાતના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીસોનું બેસણું યોજી કોંગ્રેસએ કર્યો અનોખો...

ગુજરાતના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીસોનું બેસણું યોજી કોંગ્રેસએ કર્યો અનોખો વિરોધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) છેલ્લા કેટલાક સમયથી જૂદા-જૂદા કારણોથી વિવાદ સામે આવતા રહે છે. તેવામાં આજે કોંગ્રેસ (Congress) અને NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનોખો વિરોધ (Protest) કરવામાં આવ્યો હતો, કોંગ્રેસે ગુજરાતના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીસોનું બેસણું યોજીને નાટ્યમક વિરોધ યોજ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ વિવાદ કે કૌભાંડ આવે તો શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર જ કમિટી બનાવે છે. ત્યારબાદ મામલો રફેદફે કરી દે છે.

આજે કોંગ્રેસે ગુજરાતના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે જાણે વિવાદોનું પર્યાય બની ગઈ હોય તેમ વિવાદો, ભ્રષ્ટાચાર અને કૌભાંડ અટકવાનું નામ નથી લઈ રહ્યા, બીજી તરફ ભુતકાળમાં અનેક વહીવટી બાબતોમાં થયેલી ભુલોમાંથી પણ શીખ લેવાના બદલે સત્તાધીશોના ટાંટિયાખેંચનો ખેલ રમાતો હોય તેમ નવા નવા વિવાદો વધારીને શિક્ષણની સ્થિતી કંગાળ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના કાર્યકારી કુલપતિ પોતે ખુરશીની સત્તાના અહમમાં જુથવાદી કિન્નાખોરીના દાવપેચ રમી રહ્યા છે. કુલપતિ નજીકમાં આવી રહેલી સેનેટની ચૂંટણીના સોગઠાં અને પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે, નાના-મોટા રાજકીય તાયફાઓમાંથી નવરા થાય તો યુનિવર્સિટીની શૈક્ષણિક બાબતે ધ્યાન આપી શકે ને!

- Advertisement -

વધુમાં જણાવે છે કે, ગુજરાતના શિક્ષણ વિભાગને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે કોઈ ગંભીરતા જ ન હોય તેમ આવા તમાસા જોયા કરે તે દુઃખદ છે, આટલા બધા વિવાદો, કૌભાંડો બહાર આવે છે, છતાં પણ સરકારના શિક્ષણ વિભાગે એક પણ બાબતે પગલાં લીધા હોય તેવું અમારા ધ્યાને નથી આવ્યું, જો સરકાર આ બાબતે ગંભીર બની હોત તો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણની આવી દશા ન હોત, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કોઈ પણ વિવાદ કે કૌભાંડ આવે તો શિક્ષણ વિભાગ માત્ર કાગળ પર કમિટી બનાવી છે અને શિક્ષણ માફિયાઓ લાગતા વળગતા નેતાઓના ખભા પકડી ભલામણો કરીને મામલો રફેદફે કરી દે છે. સિન્ડીકેટો નવી-નવી કોલેજો બનાવી પોતાનો આર્થિક વિકાસ કર્યા કરે છે, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ બાબતે તો જીરો જ!

આજે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત, NSUIના પ્રદેશ મહામંત્રી અભિરાજ તલાટીયા, યુવા કોંગ્રેસના જીત સોની સહિતના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આ બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનું બેસણું યોજી નાટ્યમક વિરોધ યોજ્યો હતો. જેમાં યુનિવર્સિટી પાસે શૈક્ષણિક ખર્ચ માટે એક રૂપિયો પણ ગ્રાન્ટ ન હોવાથી જૂના રીતિ રિવાજોમાં સગા સંબંધીઓ જેમ બેસણામાં ઘરવખરી અને અનાજ તેઓના પરિવાર માટે લઈ જઈને મદદ કરતાં તેમ આજે કાર્યકરો બેસણામાં કેમ્પસના ભવનો માટે સ્ટેશનરીની વસ્તુઓ અને રોકડ પૈસા લઈને પહોંચ્યા હતા.

કોંગ્રેસની માગ શું છે ?

1) યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની તત્કાલ નિમણુંક કરવામાં આવે.
2) કરારી અધ્યાપકોની અટકેલી ભરતી તત્કાલ કરવામાં આવે.
3) નોન-ટીચિંગ કર્મચારીઓની 150થી વધુ જગ્યાઓ જે ખાલી છે તેની ભરતી કરવામાં આવે.
4) વર્ષોથી યુનિવર્સિટીના ભવનોમાં પ્રોફેસરોની ભરતી કરવામાં નથી આવી આ ઘટ મુજબ ભરતી કરવામાં આવે.
5) યુનિવર્સિટીને શૈક્ષણિક ખર્ચ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે.
6) વિવાદિત સતાધીસોને તમામ પદ પરથી દૂર કરવામાં આવે.
7) યુનિવર્સિટીમાં ભૂતકાળમાં થયેલ તમામ કૌભાંડો,પેપરલીકકાંડ,ચોરીકાંડમાં થયેલ પોલીસ કેસ કે તપાસ કમિટીમાં નિર્પક્ષ તપાસ કરાવી જવાબદાર કોલેજો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
8) સત્તાધીશો રાજકીય તાયફાઓમાંથી અને જુથવાદી કિન્નાખોરીથી દૂર રહી શૈક્ષણિક બાબતોમા સક્રિય રહેવા કડક સૂચનાઓ આપવામાં આવે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular