નવજીવન ન્યૂઝ. કોટા: દિલ્હી બાદ હવે રાજસ્થાનમાં પણ પંજાબ પોલીસ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને એસએચઓ સહિત 14 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR કોટામાં પંજાબ પોલીસ વિરુદ્ધ નોંધવામાં આવી છે.
પંજાબ પોલીસ પર યુવકના અપહરણનો આરોપ છે. પંજાબ પોલીસે અફીણ કેસમાં કોટાથી એક યુવકને ઝડપી લીધો હતો અને તેની ધરપકડ હોશિયારપુરથી બતાવવામાં આવી હતી. જે બાદ ધરપકડ કરાયેલા યુવકના પરિવારજનોએ કોટામાં પંજાબ પોલીસ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પરિવારનો દાવો છે કે તેમના પુત્રનું અપહરણ કરીને તેને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. કુન્હારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવતી વખતે બુંદીના રહેવાસી નિર્મલ સિંહે કહ્યું કે તેમના પુત્ર હરનૂર સિંહનું અપહરણ કરીને પંજાબ લઈ જવામાં આવ્યો હતો અને તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો. પંજાબ પોલીસે તેની હોશિયારપુરથી ધરપકડ બતાવી છે.
પંજાબ પોલીસ વિરુદ્ધ દિલ્હીમાં પણ અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. પંજાબ પોલીસ પર દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાનું અપહરણ કરવાનો આરોપ છે. બગ્ગાના પિતાએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકોએ તેના ઘરમાં ઘૂસીને તેની મારપીટ કરી હતી અને બગ્ગાનું અપહરણ કર્યું હતું.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પંજાબ પોલીસે બગ્ગાની તેના ઘરેથી ધરપકડ કરી હતી અને તેને મોહાલી લઈ જઈ રહી હતી. જો કે પંજાબ પોલીસને હરિયાણામાં જ રોકી દેવામાં આવી હતી અને દિલ્હી પોલીસ બગ્ગાને પરત લાવી હતી.
![]() |
![]() |
![]() |











