નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ સોમવારે રાત્રે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બહાર વિસ્ફોટ થયો હતો. જો કે, કોઈ ઈજાના અહેવાલ નથી.પોલીસે સોમવારે જણાવ્યું હતું કે મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરના રોડ પરથી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ અથવા આરપીજી છોડવામાં આવ્યો હતો, જેનાથી કાચ તૂટી ગયા હતા. પોલીસે તેને આરપીજી જેવો હુમલો ગણાવ્યો હતો અને વિસ્ફોટને નજીવો ગણાવ્યો હતો.
આ બ્લાસ્ટ મોહાલી વિજિલન્સ બિલ્ડીંગમાં થયો હતો. મુખ્યમંત્રીએ ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે. મુખ્યમંત્રી ભગવંત માન સતત અધિકારીઓના સંપર્કમાં છે. નોંધનીય છે કે 24 એપ્રિલે ચંદીગઢની બુરૈલ જેલ પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવ્યાના થોડા દિવસો બાદ વિસ્ફોટની આ ઘટના બની હતી. મોહાલી પોલીસે જણાવ્યું કે, સેક્ટર 77, એસએએસ નગરમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરમાં સાંજે લગભગ 7:45 વાગ્યે એક નાનો વિસ્ફોટ થયો હતો. કોઈ નુકસાનના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમોને બોલાવવામાં આવી છે.
પંજાબને અડીને આવેલા હરિયાણાના કરનાલમાં ચાર દિવસ પહેલા પોલીસે એક મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે ખાલિસ્તાની આતંકવાદ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા પંજાબમાં રહેતા ચાર શંકાસ્પદ આતંકવાદીઓને હથિયારો અને આરડીએક્સ સાથે ધરપકડ કરી હતી. ચારેયની કરનાલના બસ્તરા ટોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ચારેય ઈનોવા કારમાં દિલ્હી તરફ જઈ રહ્યા હતા. ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ પંજાબના રહેવાસી ગુરપ્રીત, ભૂપેન્દ્ર અમનદીપ અને પરવિંદર સિંહ હોવાનું કહેવાય છે.
![]() |
![]() |
![]() |











